શાંતિ માટે પીએમ મોદીને મદદ કરો
અમેરિકાએ પાકિસ્તાનને કડક શબ્દોમાં કહ્યું
વોશીંગ્ટન, તા.પઃ ભારત અને પાકિસ્તાનની વચ્ચે ટેન્શન કોઇનાથી છુપાયેલું નથી. બંને દેશોના સંબંધોમાં હંમેશાથી જ ઐતિહાસિક અને રાજકીય મુદ્દાને લઇ તણાવ રહ્યો છે. તેમાંથી બે મુદ્દા આતંકવાદ અને કાશ્મીર છે. તેના પર આજ સુધી પાકિસ્તાનની તરફથી કોઇપણ પ્રકારનો સહયોગ મળ્યો નથી. જો કે હવે અમેરિકાએ પાકિસ્તાનને કડક સંદેશો આપ્યો છે અને કહ્યું કે તેઓ પીએમ નરેન્દ્ર મોદી, અફધાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની અને સંયુકત રાષ્ટ્ર સહિત દક્ષિણ એશિયામાં અમન કાયમ કરવાની કોશિષ કરી રહેલા દરેક લોકોનું સમર્થન કરે.
અમેરિકાએ આગળ કહ્યું કે જો અફધાનિસ્તાનમાં યુદ્ઘ ખત્મ કરવું હોય તો પાડોશી દેશ પાકિસ્તાનને તાલિબાનની સાથે શાંતિ વાર્તામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી પડશે. પેંટાગનમાં રક્ષા મંત્રી નિર્મલા સીતારમણનું સ્વાગત કરવા દરમ્યાન પત્રકારોના પ્રશ્ન પર મેટિસે આ વાત કહી.
આની પહેલાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કાશ્મીરના મુદ્દા પર વાત કરી અને કહ્યું કે કાશ્મીરના મુદ્દાને ઉકેલવા માટે યુદ્ઘની નહીં વાતચીતની જરૂર છે. જયાં સુધી કોઇ વાતચીત શરૂ નહીં થાય ત્યાં સુધી કાશ્મીર મુદ્દાને ઉકેલવાના વિભિન્ન વિકલ્પ પર ચર્ચા કરી શકાય નહીં. આપને જણાવી દઇએ કે નિર્મલા સીતારમણ પાંચ દિવસની અમેરિકન યાત્રા પર છે. આ બધાની વચ્ચે ભારત અને અમેરિકા પોતાના રક્ષા અને સુરક્ષા સંબંધ ઝડપથી આગળ વધારવા પર રાજી થયા છે. અમેરિકન રક્ષા મંત્રી જેમ્સ મેટિસ સાથે નિર્મલા સીતારમણની મુલાકાત દરમ્યાન આ સહમતિ બની.(૨૩.૮)