સોનીયા - રાહુલની મુલાકાતમાં મુખ્ય મુદ્દો ગેહલોત - પાયલોટનો છવાયેલો રહ્યોઃ ઘણાં વિકલ્પો પર થઇ વિચારણા
જયપુરઃ રાજસ્થાન કોંગ્રેસમાં ચાલી રહેલ રાજકીય ખેંચતાણ પર સોનીયા ગાંધી અને રાહુલ ગાંધી વચ્ચે લાંબી વાતચીત થઇ છે. ચર્ચા છે કે કોંગ્રેસ મોવડી મંડળ અધ્યક્ષની ચુંટણી પ્રક્રિયા ચાલુ હોવા દરમ્યાન મુંઝવણમાં છે. આનુ કારણ એ છે કે કોંગ્રેસની સરકાર બચાવવાની છે સાથે જ હાઇ કમાંડનો આદેશ પણ મનાવવો જરૂરી છે. આ મુંજણનો રસ્તો કાઢવા માટે સોનીયા અને રાહુલ વચ્ચે ઘણા વિકલ્પો પર વિચારણા થઇ. રાજસ્થાનના રાજકીય ઘટનાક્રમ બાબતે તેમની વચ્ચે શું ચર્ચા થઇ તેની વિગતો તે નથી મળી પણ એવુ માનવામાં આવી રહ્યું છે કે આ દરમ્યાન ઘણા વિકલ્પો સામે રાખીને વાતચીત થઇ છે.
એ પણ જણાવી દઇએ કે સી એમ ગેહલોત પોતે કહી ચૂકયા છે કે તેઓ ૧૦૨ ધારાસભ્યોને દગો ના દઇ શકે જેમણે સરકારને પડતી બચાવી હતી. કોંગ્રેસ હાઇકમાંડ પક્ષના બંને નિરીક્ષકો અજય માકન અને મલ્લિકાર્જુન ખડગેના રિપોર્ટ છતા પણ કડક પગલા નથી લઇ શકતું. કારણ સ્પષ્ટ છે કે પક્ષ સરકાર પાડવાનું જોખમ પણ નથી ઉઠાવવા માંગતો.
રાજસ્થાનમાં રાજકીય સંકટ જલ્દી સમાપ્ત થવાના કોઇ અણસાર નથી દેખાતા. ગેહલોતે કહ્યું કે બધાને ખબર છે કે અમિતભાઇ શાહના ઘરે મીટીંગ થઇ હતી. અમિતભાઇ શાહે કોંગ્રેસી ધારાસભ્યોને મિઠાઇ ખવડાવી હતી. ગેહલોતના સ્ટેટમેન્ટથી એ સ્પષ્ટ છે કે સચિન પાયલોટને મુખ્યમંત્રી બનાવવાનો કોઇ પણ સ્થિતીમાં વિરોધ કરવામાં આવશે.