કાશ્મીરમાં 370 રદ કર્યાની બીજી વર્ષગાંઠ : એક કલાકમાં આતંકીઓએ કર્યો બે વખત ગ્રેનેડ હુમલો
આતંકવાદીઓએ SSBની 14મી બટાલિયનના જવાનો પર પ્રથમ ગ્રેનેડ હુમલો મહજૂર નગરમાં કર્યો :આતંકીઓએ ફરી બેમિનામાં એસએસબી પોસ્ટ પર ગ્રેનેડ વડે બીજો હુમલો કર્યો
નવી દિલ્હી :જમ્મુ -કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની બીજી વર્ષગાંઠ પર આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે. આતંકવાદીઓએ એક કલાકની અંદર ગ્રેનેડ વડે સુરક્ષા દળો પર બીજો હુમલો કર્યો છે. ગુરુવારે સાંજે આતંકવાદીઓએ ગ્રેનેડ વડે સશસ્ત્ર સીમા બળ (SSB)ના જવાનો પર હુમલો કર્યો હતો. અત્યાર સુધી આ બંને હુમલામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
મળતી માહિતી મુજબ, આતંકવાદીઓએ SSBની 14મી બટાલિયનના જવાનો પર પ્રથમ ગ્રેનેડ હુમલો મહજૂર નગરમાં કર્યો હતો. આ હુમલાને એક કલાક પણ થઈ ન હતી કે આતંકીઓએ ફરી બેમિનામાં એસએસબી પોસ્ટ પર ગ્રેનેડ વડે હુમલો કર્યો. હમણાં સુધી, કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી.
ગયા અઠવાડિયે, 30 જુલાઈએ આતંકવાદીઓએ સીઆરપીએફના જવાનો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલો ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ખાનપોરા બ્રિજ પર થયો હતો. હુમલામાં 4 જવાન ઘાયલ થયા હતા.
બુધવારે (28 જુલાઈ) બારામુલ્લાના રફિયાબાદ વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. પરંતુ તે રસ્તાની વચ્ચે વિસ્ફોટ થયો હતો અને કોઈને ઈજા પહોંચી ન હતી. તે હુમલા દ્વારા પણ આતંકવાદીઓ પોલીસ પાર્ટી પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેઓ તેમની યોજનામાં સફળ ન થઈ શક્યા.