મુખ્ય સમાચાર
News of Wednesday, 5th August 2020

ગ્રાહકોની પસંદ બદલાઇ

સસ્તા ચીની રમકડાં, ઇલેકટ્રીક ચીજોને બદલે સ્વદેશી આઇટમો માંગે છે

ચીનથી આયાત થતા રકમડાંની વાર્ષિક આયાત રૂ. ૧૪૦૦ થી ૧૫૦૦ કરોડની ગણાય છે જે કુલ આયાતની ૩ ટકાથી વધુ છે

મુંબઈ તા. ૫ : ચીને આ વર્ષે ભારતના રક્ષા બંધનના તહેવારમાં ગુમાવેલા રાખડીના રૂ. ૪,૦૦૦ કરોડના વેચાણનો હિસ્સો તેની ભારત ખાતેની કુલ નિકાસમાં અલ્પ ગણાય પણ આ તહેવારોમાં ભારતીય ગ્રાહકોના મિજાજનો પરચો જોયા પછી વધુને વધુ આઇટમોનું ભારતીય બજાર તેના હાથમાંથી સરકી રહ્યું હોવાનું તેને સમજાઈ ગયું છે.

મોદી સરકારનો ચીન સામેનો આર્થિક બહિષ્કાર ટીક-ટોક સહિતના એપ ઉપર પ્રતિબંધથી શરૂ થયો તે હવે તળિયે ઉતરીને રાખડી, પતંગના માંજાથી લઇ ઇલેકિટ્રક તોરણો, રમકડાં જેવી જનવપરાશની આઇટમોના બજારો સુધી આગળ વધી રહ્યો છે. સસ્તી ચીની માલનું વેચાણ અહીંના બજારોમાં ઘટી ગયું છે અને આગળ જતા તે વધુ ઘટશે તેવું વિવિધ બજારના વેપારીઓએ કહ્યું છે.

કેન્દ્ર સરકારના 'આત્મનિર્ભર ભારત' અભિયાનની અસર બજારોમાં દેખાવી શરૂ થઇ છે. કેટલાક વેપારીઓએ કહ્યું કે તેઓ ચીનથી આવેલો જૂનો સ્ટોક વેચવા માંગે છે. તેના ભાવ સ્વદેશી કે અન્ય દેશોની આઇટમો કરતા ઓછા હોવા છતાં ગ્રાહકો સસ્તી ચીની આઇટમો ખરીદતા નથી અને સ્વદેશી બનાવટની ચીજો થોડી મોંઘી હોય તો પણ તે પહેલા ખરીદે છે.

ચીનથી તદ્દન સસ્તા ભાવે અહીં બજારમાં આવતી લોખંડ અને બિનલોહ ધાતુની મશીનરીથી ચીજોની આયાત ઓછી થવા લાગી છે. સરકારે અનેક ઇલેકટ્રોનિક પ્રોડકટસ , ડ્રગ્સ ફોર્મ્યુલેશન (દવાનો કાચો માલ) ઉપર ૨૦થી ૨૫ ટકા ડયૂટી વધારી છે. રમકડા, બાળકોની બાઇસીકલ, બેટરી સંચાલિત રમકડા કાર, બાઇક અને અન્ય ચીજોને ૧ સપ્ટેમ્બરથી બીઆઈએસ ધોરણો લાગુ કરાશે. રમકડા ઉપર ગયા ફેબ્રુઆરીમા ૬૦ ટકા ડયૂટી લાગુ કરવામાં આવી હતી. હવે તેના ઉપર બીઆઈએસના ધોરણો લાગુ થવાથી ચીની રમકડાની આયાત લગભગ બંધ થઇ જશે, એમ રમકડાના એક આયાતકાર-સ્ટોકિસ્ટે વ્યાપારને કહ્યું હતું.

ચીનથી આયાત થતા રમકડાની વાર્ષિક આયાત રૂ. ૧૪૦૦થી ૧૫૦૦ કરોડની ગણાય છે જે કુલ આયાતની ૩ ટકાથી વધુ છે.

આગામી ૧ સપ્ટેમ્બરથી રમકડા પર બીઆઈએસ ફરજિયાત થવાનું હોઈ ચીનથી આયાતી રમકડા પ્રોડકટની આયાત લગભગ થંભી જશે. બીઆઈએસના નિયમ પ્રમાણે જયાં ઉત્પાદન થતું હોય તે ફેકટરી-ઉદ્યોગની મુલાકાત લઈને સરકારી અધિકારીઓ તેને મંજૂરી' આપતા હોય છે. અત્યારના કોવિડ-૧૯ના સમયકાળ એવી સરહદની સ્થિતિ જોતા આ નિરીક્ષણ શકય નથી. એમ સ્થાનિક આયાતકારો માનતા હોઈ તેમની ચિંતા વધી છે. મુંબઈ-દિલ્હી, મદ્રાસ અને કોલકતા જેવા શહેરોમાં રૂ.૨૦૦થી ૩૦૦ કરોડનો ચીનનો માલ હાજરમાં' અથવા કસ્ટમ્સમાં પડ્યો છે.

આ સિવાય કટલરીની કેટેગરીમાં ગણાતી' સસ્તી છત્રી, રેઇનકોટ, કીચેન, નેલકટર, ટોર્ચ, બેલ્ટ જેવી સસ્તી અન્ય ચીજોની આયાત અગાઉથી ૪૦થી ૬૦ ટકા ઘટી ગઈ છે. આમ છતાં લોકડાઉનને લીધે મુંબઈની મુસાફરખાના' માર્કેટ અને અન્ય બજારોમાં ઘણો જૂનો માલ વેપારીઓ પાસે પડયો છે.

રસાયણ બજારના સૂત્રોએ જણાવ્યું છે કે ઔષધ બનાવવાના કાચા માલ- એકિટવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ (એપીઆઈ)ની ચીનથી આયાત થઇ રહી છે. સરકારે કેટલીક બલ્ક આયાત પર ૨૫ ટકા સુધી ડયૂટી વધારી હોવાથી આયાત નિયંત્રિત થશે અને સ્થાનિક રસાયણ ઉત્પાદનોનું વેચાણ વધશે.

ચીનથી થતી આયાતમાં નોંધપાત્ર હિસ્સો ઇલેકટ્રોનિક પ્રોડકટસનો છે. આગામી તહેવારોની મોસમમાં વધનારી માંગનો લાભ સ્થાનિક ઉત્પાદકોને મળે તે માટે સ્થાનિકમાં મોટો વપરાશ ધરાવતા એલઈડી લાઇટસ, ફેન્સી ફીટીંગ્સ લાઇન, ડેકોરેશન ફીટીંગ્સ, સીરીઝ, શણગારની આઇટમ જેવી ચીજોની આયાત ડયૂટીમાં ધરખમ વધારો તોળાઈ રહ્યો હોવાની બજારમાં ચર્ચા છે. સૂત્રોએ જણાવ્યુશ્ન કે ગણેશોત્સવની ઘરાકી હજી ધીમી છે. લુહાર ચાલના ઇલેકિટ્રક બજારમાં આયાતી ટયુબલાઇટ, પંખા, ઇલેકટ્રોનિકસ કુકર જેવી ચીજોનો બજારમા સ્ટોક બહુ ઓછો રહ્યો છે. એક સ્થાનિક સ્ટોકિસ્ટે જણાવ્યુશ્ન કે લદ્દાખ સરહદે તંગદિલી થયા પછી આયાતકારોએ આગમચેતી વાપરીને નવા આયાતના ઓર્ડર મુકવાનું બંધ કર્યું હતું. ચીનના નિકાસકારોએ પણ હવે રોકડથી વ્યવહાર શરૂ કર્યો છે.

(10:41 am IST)