મુખ્ય સમાચાર
News of Tuesday, 5th June 2018

ખેડૂત આંદોલન જારી : કાલે ભાવિ રણનીતિ પર ચર્ચા થશે

ગામડા બંધની અસર ધીમે ધીમે વધી રહી છે : ખેડૂતો દ્વારા જુદી જુદી માંગણીને લઇને હડતાળને ૧૦મી જૂન સુધી જારી રાખવાની તૈયારી કરાઈ : કેન્દ્ર પર દબાણ

નવી દિલ્હી,તા. ૫ : ખેડુતોના દસ દિવસના ગામડા બંધના આજે પાંચમાં દિવસે દેશની મોટી મંડીઓમાં શાકભાજીની કમી હવે દેખાવવા લાગી ગઇ છે. દિલ્હી, મુંબઈ, કોલકાતામાં હજુ સુધી પુરવઠાને કોઇ માઠી અસર થઇ નથી પરંતુ જયપુર સહિતના કેટલાક શહેરોમાં શાકભાજીના ભાવમાં ૨૫થી ૩૦ ટકાનો વધારો થઇ ગયો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં આગામી થોડાક મહિનામાં ચૂંટણી યોજાનાર છે ત્યારે ખેડૂતોની નારાજગી ભાજપને મુશ્કેલીમાં મુકી શકે છે. ખેડૂતોની હડતાળ વચ્ચે આવતીકાલે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક મળનાર છે. રાષ્ટ્રીય કિસાન મહાસંઘના પ્રવક્તા અભિમન્યુ કોહરનું કહેવું છે કે, હડતાળ ૧૦મી જૂન સુધી ચાલશે. આવતીકાલે દિલ્હીમાં મળનારી બેઠકમાં ભાવિ રણનીતિ તૈયાર કરાશે. છુટાછવાયા પ્રિ-મોનસુની વરસાદી ઝાપટા પડી રહ્યા છે જેથી વાવણી માટે સારા સંકેત છે. હડતાળના લીધે કિંમતો પણ સતત વધી રહી છે. સ્થિતી હજુ વધારે ગંભીર બને તેવા સંકેત દેખાઇ રહ્યા છે. ખેડુતો તેમની લોન માફી સહિતની જુદી જુદી માંગને લઇને મક્કમ બનેલા છે. જેથી તેઓ તેમની પેદાશોને લઇને મક્કમ બનેલા છે. જાહેરમાં શાકભાજી અને દુધ સહિતની ચીજોને ફેંકી રહ્યા છે પરંતુ શહેરી વિસ્તારોમાં ચીજો મોકલી રહ્યા નથી. સરકારના નિયમો સામેના વિરોધમાં શાકભાજી, દુધ, અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓ ખેડૂતો જાહેર રસ્તાઓ ઉપર ફેંકી રહ્યા છે. સાથે સાથે શહેરોમાં સપ્લાય પણ રોકી ચુક્યા છે. ૧૦ દિવસના ખેડૂત આંદોલનની શરૂઆત થઈ હતી. જેના ભાગરૂપે કેન્દ્રની ખેડૂત વિરોધી નીતિઓના સામેના વિરોધમાં જુદા જુદા શહેરોમાં ખેડૂતો શાકભાજી, ફળફળાદી, દુધ અને અન્ય વસ્તુઓનો પુરવઠો અટકાવી ચુક્યા છે. જોકે કૃષિ પેદાશોની કિંમતો પર તરત અસરદેખાઈ નથી પરંતુ આજે કેટલાક શહેરોમાં છુટક શાકભાજીની કિંમતોમાં વધારો થયો હતો. પ્રતિ કિલો ૧૦ થી ૨૦ રૂપિયાનો વધારો થઈ ગયો હતો. ચંદીગઢથી પ્રાપ્ત અહેવાલ મુજબ ટામેટાની કિંમત વધીને ૨૦ થી ૨૫ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. જે હાલમાં ૧૦ થી ૧૫ રૂપિયા હતી.  ખેડૂતોના આંદોલનના લીધે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા હતા. શાકભાજી અને દુધના પુરવઠાને પણ માઠી અસર થઇ રહી છે. રાષ્ટ્રીય કિસાન મહાસંઘના નેતૃત્વમાં આ આંદોલન ચાલી રહ્યું છે જેમાં ૧૬થી વધુ સંગઠનો ભાગ લઇ રહ્યા છે. લોન માફી અને પાકની પુરતી કિંમત માંગવામાં આવી રહી છે . શાકભાજી અને દૂધ જેવી જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો હવે ખુટી રહ્યો છે. આની અસર વધુ તીવ્ર બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે. અછતને ટાળવાના પ્રયાસો થઇ રહ્યા હોવા છતાં સમસ્યા જટિલ બનવાના સંકેત દેખાઈ રહ્યા છે. બીજી બાજુ કેટલીક જગ્યાએ પોલીસ રક્ષણ હેઠળ શાકભાજી વેચવામાં આવી રહી છે. ચોથા દિવસે આજે જીવન જરૂરી ચીજવસ્તુઓની સેવા પર પ્રતિકુળ અસર થઇ રહી હતી. પંજાબ, હરિયાણા સહિત જુદા જુદા રાજ્યોના મોટા શહેરોમાં દુધ અને શાકભાજીની કિંમતમાં વધુ તીવ્ર વધારો થયો હતો. મંડીઓમાં કૃષિ પેદાશોનો નવેસરનો પુરવઠો પહોંચી રહ્યો નથી. જેના પરિણામે કિંમતો વધવાની શરૂઆત થઈ છે. બીજી બાજુ લોકસભાના સભ્ય રાજુ શેટ્ટીના નેતૃત્વમાં સ્વાભિમાની સેકકારી સંગઠનના લોકોનું કહેવું છે કે, હડતાળને તેમનો ટેકો નથી. મહારાષ્ટ્રમાં પુરવઠો હજુ પણ સામાન્ય બનેલો છે. ખેડૂતોની નારાજગી દૂર કરવાની જરૂર છે.

(7:42 pm IST)