અમરનાથ યાત્રામાં આતંકી ભાંગફોડની શંકાએ સુરક્ષા દળો સતર્ક
શ્રીનગર, તા. ૫ : હંમેશા ચર્ચાનો વિષય બની રહેતી વાર્ષિક અમરનાથ યાત્રા શરૂ થવા આડે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. દર વર્ષની માફક આ વર્ષે પણ યાત્રાને આતંકીઓ નિશાન બનાવી શકે તેવી ખૂફીયા માહિતી મળતા સુરક્ષાદળો સતર્ક બન્યા છે. સૌથી વધુ ચિંતાનું કારણ એ છે કે ઓસામા બિન લાદેનના મૃત્યુ બાદ કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ સતેજ થવાની સતત ચેતવણીઓ મળી રહી છે. જો કે આવી ધમકીઓ છતાં શ્રદ્ધાળુઓની આસ્થામાં કોઈ ફરક પડતો નથી અને સંખ્યા વધતી જ રહી છે. એક મહિનામાં યાત્રામાં નામ રજીસ્ટર્ડ કરાવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા ૨ લાખને પાર કરી ગઈ છે.
સુરક્ષા એજન્સીઓ પણ આતંકીઓની ધમકી મળ્યાને સ્વીકારી રહ્યા છે. ૩૦ થી ૪૦ ભાંગફોળીયા તત્વો ઘુસી ગયાનું તેઓ સ્વીકારે છે. ગુપ્તચર એજન્સીઓનું કહેવુ છે કે આતંકીઓને તેમના આકાઓ તરફથી યાત્રા પર હુમલો કરવાની સુચના મળી છે. ૧૯૯૩ના અરસામાં યાત્રીઓએ આતંકી હુમલાઓ સહન કરવા પડ્યા હતા. ત્યારબાદ સુરક્ષા દળો તેમની ફરજ બજાવવામાં કદી ચૂકયા નથી અને શ્રદ્ધાળુઓ દર્શને આવવાનું ચૂકતા નથી.