લગ્નની કંકોત્રી છપાઈ ગઈ હતી, પરંતુ સરહદેથી આવ્યું શહીદ વિજય પાંડેનું પાર્થિવ શરીર
લખનૌ, તા.૫ : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ કાશ્મીરમાં પાકિસ્તાની ગોળીબારમાં શહીદ થયેલા દેવરીયા નિવાસી બીએસએફના એએસઆઈ સત્યનારાયણ યાદવ અને ફતેહપુર નિવાસી કોન્સ્ટેબલ વિજયકુમાર પાંડેને પોતાની શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. મુખ્યમંત્રીએ શહીદોના પરીવારોને આર્થિક સહાયતાની ઘોષણા કરી છે. તેમણે કહ્યું કે સંકટની ઘડીમાં સરકાર તેમની સાથે છે. શહીદ થયેલા જવાનો પૈકી કોન્સ્ટેબલ વિજયકુમાર પાંડેના ૨૦મી જૂને લગ્ન થવાના હતા. તેમની રજા પણ મંજૂર થઈ ગઈ હતી. ૫ જૂને તેઓ પોતાના ઘેર આવવાના હતા. બીએસએફની ૩૩મી બટાલીયનમાં ફરજ બજાવતા વિજયકુમારના ઘરે શોકના વાદળો છવાઈ ગયા છે. ગઈકાલે તેમનો પાર્થિવ દેહ તેમના ગામ પહોંચ્યો હતો. પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં વિજયકુમાર રાજુ પાંડે શહીદ થઈ ગયા. જયારે દેવરીયા સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાસપાર બૈદા ગામમાં રહેવાવાળા સત્યનારાયણ યાદવ પણ શહીદ થઈ ગયા.