મુખ્ય સમાચાર
News of Tuesday, 5th June 2018

એટીએમ, ચેક બુક અથવા સ્ટેટમેન્ટ વગેરે પર નહિ પરંતુ બેંક લિમિટથી વધુ વખત ATM ટ્રાન્ઝેક્શન પર લાગશે જીએસટી

ક્રેડિટ કાર્ડના ઈન્સ્ટોલમેન્ટનું લેઈટ પેમેન્ટ અને ઈએમઆઈની ચૂકવણીમાં નિષ્ફળ થવા પર બેંક જીએસટી વસૂલી શકશે

          નવી દિલ્હી :દેશમાં બેંકો દ્વારા ગ્રાહકોને અપાતી ફ્રી સર્વિસમાં જીએસટી લાગુ પડવા અંગે મહત્વની સ્પષ્ટતા થઇ છે જેમાં ગ્રાહકોને અપાઈ રહેલી ફ્રી સર્વિસ, જેવી કે એટીએમ, ચેક બુક અથવા સ્ટેટમેન્ટ વગેરે પર જીએસટી નહીં લાગે.તેવી જાણકારી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સેઝ અને કસ્ટમે સવાલ-જવાબ તરીકે જાહેર કરી છે. જોકે ટેક્સ વિભાગે કહ્યું કે, ક્રેડિટ કાર્ડના ઈન્સ્ટોલમેન્ટનું લેઈટ પેમેન્ટ અથવા ઈએમઆઈની ચૂકવણી કરવામાં નિષ્ફળ થવા પર બેંક જીએસટી વસૂલી શકશે.

   ઉપરાંત ફ્રી સર્વિસ ઉપરની બધી સર્વિસ પર જીએસટી લેવામાં આવશે. કહેવાનો મતલબ એવો છે કે જો તમે એટીએમની લિમિટ ખતમ થયા બાદ કેસ ટ્રાન્ઝેક્શન કરો છો તો તેના પર જીએસટી લેવામાં આવશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે બેંકિંગ સુવિધા પર જીએસટીમાં વિવાદ સામે આવ્યો ત્યારે નાણાં મંત્રાલયના બે વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્શિયલ સર્વિસિઝ અને ડિપાર્ટમેન્ટ ઓફ રેવેન્યૂનો ફ્રી સર્વિસ પર જીએસટી લગાવવાને લઈને અલગ-અલગ મત સામે આવ્યો હતો. બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સેઝ અને કસ્ટમે બેંકો અને ગ્રાહકો માટે મામલાને સમગ્ર રીતે સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે.

  ટેકસ વિભાગની સ્પષ્ટતા બાદ સ્પષ્ટ છે કે ગ્રાહકોને દર મહિને બેંકો દ્વારા 3-5 એટીએમ ટ્રાન્ઝેક્શન આપવામાં આવે છે. તેના પર કોઈપણ જીએસટી લેવામાં નહીં આવે. પરંતુ તેનાથી વધારે ટ્રાન્ઝેક્શન કરવા પર ટેક્સ લાગશે. આવી રીતે ગ્રાહકોને બેંકથી મળનારી ફ્રી ચેકબુક અથવા ફ્રી બેલેન્સ સ્ટેટમેન્ટ પર જીએસટી નહીં લાગે. પરંતુ ફ્રી સુવિધાથી વધારે ચેકબુક અને સ્ટેટમેન્ટ માટે જીએસટી આપવો પડશે.

  ટેક્સ વિભાગ મુજબ જો બેંક પોતાના ગ્રાહકોને કોઈપણ સેવા માટે સર્વિસ ચાર્જ પર ડિસ્કાઉન્ટ આપે છે. તો આવી સ્થિતિમાં કુલ સર્વિસ ચાર્જથી ડિસ્કાઉન્ટ ઘટાડીને જીએસટી વસૂલવામાં આવશે. નિર્ણયના કારણે બેંક દ્વારા કસ્ટમર કેર, બ્રાન્ચ વિઝિટ, બેંક ડ્રાફ્ટ, મોબાઈલ બેંકિંગ, ઈન્ટરનેટ બેંકિંગ વગેરે સેવાઓ માટે જીએસટી આપવાનો રહેશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે બેંક પોતાના ગ્રાહકોના અલગ-અલગ કિંમતે ચાર્જ વસૂલે છે. સામાન્ય રીતે બેંક મહત્વપૂર્ણ ગ્રાહકોને વધારે ડિસ્કાઉન્ટ આપે છે જેનાથી તેમનું ખાતું બેંક સાથે સતત ચાલી શકે. હવે જીએસટીની નજર એવા ખાતા પર રહેશે.

(12:00 am IST)