એપ્રિલમાં ઇ-વે બિલ ઘટીને ૫ માસના તળીયે
માર્ચની સરખામણીએ ૧૭ ટકા ઓછા બન્યા
નવી દિલ્હી,તા. ૪: જીએસટીના ઇ-વે બિલ બનવા આર્થિક ગતિ વિધીઓમાં તેજીનો મહત્વનો સંકેત માનવામાં આવે છે. પણ એપ્રિલ મહિનામાં કદાચ બહુ ઓછા વે બીલ બન્યા છે. કોવિડ -૧૯ સંક્રમણ રોકવા માટે દેશના વધારેમાં શહેરોમાં લોકડાઉન તથા પ્રતિબંધોના કારણે એપ્રિલમાં ઇ-વે બીલની સંખ્યા છેલ્લા પાંચ મહિનાઓમાં સૌથી ઓછી હોય શકે છે.
એપ્રિલમાં બનનાર ઇ-વે બિલની સંખ્યા ૫.૫ થી ૫.૮ કરોડ જ રહેવાના અણસાર છે. જે ગયા વર્ષના નવેમ્બર પછીથી સૌથી ઓછો આંકડો છે. માર્ચની સરખામણીમાં તેમાં લગભગ ૧૭ ટકાનો ઘટાડો થશે. આનાથી દેશમાં આર્થિક ગતિવિધીઓમાં મોટા ઘટાડાનો સંકેત મળે છે. એપ્રિલમાં ઓછા ઇ-વે બીલ બનવાની અસર મેની જીએસટીની આવક પર પણ પડશે. નિષ્ણાંતોનું કહેવુ છે કે મે માં જીએસટીની આવકમાં લગભગ ૨૦ ટકાનો ઘટાડો થઇ શકે છે.
જીએસટી નેટવર્કના આંકડોઓ અનુસાર તેના પોર્ટલ પર ૨૫ એપ્રિલ સુધીમાં ફકત ૪.૮૯ કરોડ ઇ-વે બિલ બનાવાયા એટલે રોજના સરેરાશ ૧૯.૫ લાખ ઇ-વે બીલ બન્યા જ્યારે માર્ચમાં રોજના સરેરાશ ૨૨.૯ લાખ ઇ-વે બિલ બન્યા હતા. માર્ચમાં કુલ ૭.૧૨ કરોડ ઇ-વે બીલ બન્યા હતા જેના લીધે એપ્રિલમાં જીએસટીની આવક રેકોર્ડ ૧.૪૧ લાખ કરોડ રૂપિયા થઇ. ફેબ્રુઆરીમાં પણ રોજના સરેરાશ ૨૨.૮ લાખ ઇ-વે બીલ બન્યા હતા.