મુખ્ય સમાચાર
News of Friday, 5th March 2021

ડ્રગ્સ કેસમાં એનઆઈએ દ્વારા ચાર્જશીટ દાખલ કરાઈ

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બહાર આવેલા ડ્રગ્સના મામલે : યાદીમાં રિયા ચક્રવર્તી સહિત ૩૩ લોકોનાં નામ છે જે તમામ આરોપી છે, અન્ય પણ કેટલાક સામે તપાસ ચાલુ

નવી દિલ્હી, તા.૫ : એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તપાસ દરમિયાન ડ્રગ્સનો મામલો બહાર આવ્યો હતો. જે બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ તપાસ શરૂ કરી હતી. હવે એક્ટરના અવસાનના ૯ મહિના બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ડ્રગ્સ કેસમાં ચાર્જશીટ ફાઈલ કરી છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ ચાર્જશીટ ફાઈલ કરી હોવાની પુષ્ટિ કરી છે. તેમને પૂછવામાં આવ્યું કે કેસમાં રિયા ચક્રવર્તીને મુખ્ય આરોપી બનાવાઈ છે? ત્યારે સમીર વાનખેડેએ કહ્યું, યાદીમાં ૩૩ લોકોના નામ છે અને તે તમામ આરોપી છે. આ ઉપરાંત અન્ય પણ કેટલાક લોકો છે જેમની સામે તપાસ ચાલી રહી છે.

વિસ્તૃત ચાર્જશીટ ફાઈલ કર્યા બાદ એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ કહ્યું, ચાર્જશીટ ફાઈલ થઈ ગઈ છે ત્યારે કેસની ટ્રાયલ પણ શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, એનડીપીએસ કોર્ટમાં ફાઈલ કરવામાં આવેલી ચાર્જશીટ ૧૨,૦૦૦થી વધુ પાનાની છે. લગભગ ૫૦,૦૦૦ પેજ ડિજિટલ ફોર્મેટમાં સોંપવામાં આવ્યા છે. ચાર્જશીટમાં આરોપી તરીકે ૩૩ લોકોના નામ છે અને ૨૦૦ સાક્ષીઓના નિવેદનો છે.

ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં એનસીબીએ સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં બે કેસ નોંધ્યા હતા. જે બાદ એજન્સીએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તી સહિત અન્યોની ધરપકડ કરી હતી. હાલમાં તેઓ જામીન પર મુક્ત છે.

ડ્રગ્સ કેસમાં એનસીબીએ બોલિવુડ-ટેલિવુડના ઘણાં સેલિબ્રિટીઝની પૂછપરછ પણ કરી હતી. દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, દીપિકાની પૂર્વ મેનેજર કરિશ્મા પ્રકાશ, ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા સહિતના ઘણાં સેલેબ્સની એનસીબીએ પૂછપરછ કરી હતી. જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ મની લોન્ડ્રિંગ કેસની તપાસ કરી રહેલા એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને રિયા ચક્રવર્તીના મોબાઈલમાંથી કેટલીક ચેટ મળી આવી હતી. જેમાં કથિત રીતે ડ્રગ્સનો ઉલ્લેખ હતો. આ ચેટ ઈડીએ સીબીઆઈ અને એનસીબી સાથે શેર કરતાં આખું ડ્રગ્સનું પ્રકરણ બહાર આવ્યું હતું.

બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત ૧૪ જૂન ૨૦૨૦ના રોજ બાંદ્રા સ્થિત ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ કેસની તપાસ મુંબઈ પોલીસ અને બિહાર પોલીસ બાદ સીબીઆઈને સોંપવામાં આવી હતી. જો કે, હજી સુધી એક્ટરની મોતનું અસલી કારણ બહાર આવ્યું નથી. સુશાંતના ફેન્સ અને પરિવારજનો હજી પણ ન્યાયની આશામાં બેઠા છે.

(7:36 pm IST)