નીતા અંબાણીનું એલાન
રિલાયન્સના તમામ કર્મચારી અને તેમના પરિવારોને ફ્રીમાં આપશે કોરોના વેકસીન
મુંબઈ, તા.૫: દેશભરમાં કોરોના વાયરસની મહામારીના ખાતમા માટે કોવિડ વેકસીનેશન અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન વેકસીનેશનને લઈ રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સન નીતા અંબાણી એ મોટી જાહેરાત કરી છે. નીતા અંબાણીએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે કંપની રિલાયન્સના તમામ કર્મચારીઓ અને તેમના પરિવારોના વેકસીનેશનનો ખર્ચ પોતે ઉઠાવશે.
રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સને નિવેદન જાહેર કરીને કહ્યું છે કે તમામ લોકોના સમર્થનથી આપણે ટૂંક સમયમાં આ મહામારીનો ખાતમો કરીશું. પરંતુ ત્યાં સુધી તકેદારી રાખવી પડશે. આપણે હવે આ લડાઈના અંતિમ ચરણમાં છીએ. આપણે જીતીશું. નીતા અંબાણીએ કહ્યું કે, મુકેશ અંબાણી અને મેં નિર્ણય કર્યો છે કે અમે રિલાયન્સના તમામ કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોને ફ્રીમાં વેકસીન પૂરી પાડીશું.
નીતા અંબાણીએ આ ઉપરાંત કર્મચારીઓને અપીલ કરી કે જે પણ લોકો વેકસીન લેવા માંગે છે તેઓ વહેલામાં વહેલી તકે વેકસીન માટે ખાસ તૈયાર કરવામાં આવેલા સરકારી પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવો, જેથી આ મહામારીનો ઝડપથી ખાતમો કરી શકાય. વેકસીનેશનનું બીજું ચરણ પહેલી માર્ચથી શરૂ થઈ ગયું છે.