ત્રણ શકિતશાળી આંચકાઃ સૌથી મોટો ૮.૧ની તીવ્રતાનો
ન્યૂઝીલેન્ડમાં ભૂકંપના આચકા બાદ સુનામીની ચેતવણી
ઓકલેંડ, તા.૫: ન્યૂઝીલેન્ડમાં દરિયાકિનારે રહેતા લોકોને કાંઠાવિસ્તારથી દૂર જવા માટે કહેવાયું છે. અહીં એક બાદ એક ભૂકંપના ત્રણ શકિતશાળી આચકા નોંધાયા છે અને એ બાદ સુનામીની ચેતવણી જાહેર કરી દેવાઈ છે
રાષ્ટ્રીય આપાતકાલીન એજન્સીએ સુનામીના જોખમની ચેતવણી જાહેર કરી છે.
આ ક્રમમાં કેટલીક જગ્યાઓથી દ્યર્ષણના સમાચાર પણ આવ્યા છે.
ઊંચાઈ ધરાવતા વિસ્તારો પર પહોંચવા માટે લોકોમાં ઘર્ષણ થયું હોવાના સમાચાર છે.ન્યૂઝીલેન્ડનાં વડાપ્રધાન જેસિંડા એર્ડને ઇસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું છે, 'ત્યાં બધા સલામત હોય એવી આશા કરું છું.
વહેલી સવારે અહીં ત્રણ ભૂકંપ આવ્યા છે અને ત્રણેય સાત કરતાં વધુ મેગનિટ્યુડની તિવ્રતા ધરાવતા હતા.
સૌથી શકિતશાળી ભૂકંપની તિવ્રતા ૮.૧ મેગનિટ્યુડ આંકવામાં આવી છે.
પહેલાં અપાયેલી સુનામીની ચેતવણી પરત લઈ લેવાઈ હતી.
જોકે, ભૂકંપના ત્રીજા આચકા બાદ રાષ્ટ્રીય આપાતકાલીન એજન્સીએ નવી ચેતવણી જાહેર કરી હતી અને કેટલાક વિસ્તારોમાં સાયરનના અવાજો પણ સંભળાયા હતા.
એજન્સીએ જણાવ્યું હતું કે પ્રભાવિત વિસ્તારના લોકોએ તત્કાલ ઊંચાઈ પર કે કાંઠાવિસ્તારથી શકય હોય એટલી દૂર જતું રહેવું
આ દરમિયાન સ્થાનિક મીડિયામાં દરિયામાં ઊઠી રહેલાં મોજાંઓનાં દૃશ્યો પોસ્ટ કરવામાં આવી રહ્યાં છે.
ન્યૂઝીલેન્ડના સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે લોકોને ટ્રાફિકથી બચવા માટે ચાલીને કે સાઇકલ દ્વારા દૂર જતા રહેવા જણાવ્યું
નોંધનીય છે કે ગત સપ્તાહે ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં આવેલા ભયાનક ભૂકંપને દસ વર્ષ થયાં. એ ભૂકંપમાં ૧૮૫ લોકો માર્યા ગયા હતા.