મુખ્ય સમાચાર
News of Tuesday, 5th January 2021

છેલ્લા 6 વર્ષમાં 1500 નવા સીએનજી સ્‍ટેશન શરૂ કરાયાઃ સરકાર આ સંખ્‍યાને 10 હજાર સુધી લઇ જવા કામગીરી કરે છેઃ પીએમ મોદીના હસ્‍તે કોચ્‍ચિ-મેંગલુરૂ પ્રાકૃતિક ગેસ પાઇપલાઇનનું ઉદ્‌ઘાટન

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોચ્ચિ-મેંગલુરુ પ્રાકૃતિક ગેસ પાઈપલાઈનનું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગેસ પાઈપલાઈને દેશને સમર્પિત કરી. 450 કિલોમીટર લાંબી આ પાઈપલાઈનનું નિર્માણ ગેલ (ભારત)એ કર્યું છે.

મળીને કામ કરીએ તો કોઈ લક્ષ્ય કપરું નથી હોતું

ઉદ્ધાટન કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે આ 450 કિલોમીટર કોચ્ચિ-મેંગલુરુ પ્રાકૃતિક ગેસ પાઈપલાઈનને રાષ્ટ્રને સમર્પિત કરવી સન્માન છે. હું સ્વચ્છ ઉર્જા અવસંરચના પ્રદાન કરવા માટે પગલું ભરવા બદલ લોકો અને તમામ હિતધારકોને શુભેચ્છા પાઠવું છું. કોચ્ચિ-મેંગલુરુ પાઈપ લાઈન એ વાતનું ખુબ મોટું ઉદાહરણ છે કે વિકાસને પ્રાથમિકતા આપીને તમામ ળીને કામ કરે તો કોઈ લક્ષ્ય કપરું હોતું નથી.

પીએમ મોદીએ કહ્યું કે ભારતનું પહેલું CNG સ્ટેશન વર્ષ 1992માં શરૂ થયું હતું. 22 વર્ષમાં એટલે કે 2014 સુધીમાં દેશભરમાં ફક્ત 900 CNG સ્ટેશન હતા. છેલ્લા છ વર્ષમાં લગભગ 1500 નવા સીએનજી સ્ટેશન શરૂ કરાયા છે. સરકાર આ સંખ્યાને 10 હજાર સુધી લઈ જવા માટે કામ કરી રહી છે.

પીએમ મોદીએ 10 ફાયદાનો કર્યો ઉલ્લેખ

કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોચ્ચિ મેંગલુરુ ગેસ પાઈપલાઈનથી થનારા 10 ફાયદાની જાણકારી આપી. તેમણે કહ્યું કે કહેવા માટે તો આ પાઈપ લાઈન છે, પરંતુ બંને રાજ્યોના વિકાસને ગતિ આપવામાં તેની મોટી ભૂમિકા રહેવાની છે. આ પ્રોજેક્ટમાં અનેક અડચણો આવી, પરંતુ આપણા શ્રમિકો, એન્જિનિયરો, ખેડૂતો, અને રાજ્ય સરકારોના સહયોગથી આ કામ પૂરું થયું.

પાઈપલાઈનથી થનારા 10 મોટા ફાયદા

1. આ પાઈપ લાઈન બંને રાજ્યોમાં લાખો લોકો માટે ઈઝ ઓફ લિવિંગ વધારશે.

2. આ પાઈપ લાઈન બંને રાજ્યોના ગરીબ, મધ્યમ વર્ગ અને ઉદ્યમીઓના ખર્ચને ઓછો કરશે.

3. આ પાઈપ લાઈન શહેરોમાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું માધ્યમ બનશે.

4. તે અનેક શહેરોમાં સીએનજી આધારિત ટ્રાન્સપોર્ટ સિસ્ટમને વિક્સિત કરવાનું માધ્યમ બનશે.

5. તે મેંગ્લોર કેમિકલ અને ફર્ટિલાઈઝર પ્લાન્ટને ઉર્જા આપશે, ઓછા ખર્ચમાં ખાતર બનાવવામાં મદદ કરશે.

6. આ પાઈપ લાઈન મેંગ્લોર રિફાઈનરી અને પેટ્રો કેમિકલને ઉર્જા આપશે. સ્વચ્છ ઈંધણ આપશે.

7. બંને રાજ્યોમાં પ્રદૂષણ ઓછું કરશે.

8. પ્રદૂષણ ઓછું થવાથી સીધી અસર પર્યાવરણ પર પડશે.

9. પર્યાવરણનું સ્તર સુધરવાથી લોકોનું સ્વાસ્થ્ય સારું થશે.

10. જ્યારે પ્રદૂષણ ઓછું થશે, શહેરોમાં ગેસ આધારિત સેવા હશે, તો ટુરિઝમને પણ પ્રોત્સાહન મળશે.

(5:06 pm IST)