મુખ્ય સમાચાર
News of Tuesday, 5th January 2021

ન્યૂઝ પોર્ટલ-નકલી ચેનલો સામે કડક કાર્યવાહીની તૈયારી

બોગસ પ્રેસ કાર્ડ ધરાવનારા સાવધાન : પીળા પત્રકારત્વ પર સરકાર તૂટી પડશે : જાવડેકર : આડેધડ બોગસ પ્રેસકાર્ડ આપનારા - લેનારાની ધરપકડ થશે : કેબલ - ડીશ ટીવી પર ચાલતા ન્યૂઝ પોર્ટલ - ચેનલ ગેરકાયદે છે : એન.આર.આઇ.ના નામે ચાલતા પોર્ટલ સામે પણ પગલા ભરાશે : બોગસ - નકલી પત્રકારત્વ પર ઘોસ બોલશે

રાજકોટ તા. ૫ : પત્રકારો અને પ્રેસના નામે બ્લેકમેઇલ કરવાનો ધંધો, બોગસ પત્રકારો, નકલી પ્રેસ આઈડી, પીળું પત્રકારત્વ, કેબલ (ડિશ) ટીવી પર ચાલતા કોઈ ન્યૂઝ પોર્ટલ અને ન્યૂઝ ચેનલ નથી.

ભારતમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય નકલી પત્રકારો અને બનાવટી ચેનલો પર કબજો મેળવવા માટે તૈયારી કરી લીધી છે. તદ્દઉપરાંત જે લોકો આર.એન.આઈ.ના (Registrar of Newspapers for India)ના નામે અખબારો અથવા ચેનલો ચલાવી રહ્યા છે, તેમના પર આકરી કાર્યવાહી કરવામાં આવશે. વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, દેશભરમાં એવા બધા લોકો કે જે પ્રેસ આઈડી કાર્ડ લઇને ફરતા હોય અથવા નકલી ચેનલો ચલાવી રહ્યા હોય તેઓ પર તત્કાળ તપાસ શરૂ કરવામાં આવશે. આ કેસમાં દોષી ગણાતા વ્યકિતની ઝડપી કાર્યવાહી કરીને ધરપકડ કરવામાં આવશે. વધુમાં, મંત્રીએ કહ્યું કે કેટલાક દોષિત લોકોના કારણે સારા, પ્રામાણિક અને પત્રકારોની છબી ખરાબ થઈ રહી છે, અને તેમનું કાર્ય અવરોધિત થઈ રહ્યું છે.

વધુ માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે દેશમાં નકલી પ્રેસ આઈડી વહેંચવાનો અને નકલી પત્રકારોને નોકરી પર રાખવાનો અને પ્રેસના નામે બ્લેકમેઇલ કરવાનો ધંધો ચાલી રહ્યો છે. તેને કંટ્રોલમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સંદર્ભમાં, તમામ રાજયોના પ્રેસ માહિતી મંત્રાલયને સૂચનાઓ જારી કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પત્રકાર - સંવાદદાતાની નિમણૂંક ભારત સરકારના આરએનઆઇ દ્વારા નોંધાયેલા અખબાર - મેગેઝિન દ્વારા કરી શકાય છે અથવા ટીવી - રેડિયો માહિતી પ્રસારણ મંત્રાલય સાથે નોંધણી કરાવી શકાય છે અને ફકત તેના સંપાદક જ પ્રેસ કાર્ડ આપી શકે છે.

જયારે પત્રકારો દ્વારા ન્યૂઝ પોર્ટલ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઇન્ટરનેટ પર ચાલતા ન્યુઝ પોર્ટલની નોંધણીની જોગવાઈ માહિતી પ્રસારણ મંત્રાલયમાં નથી અને કેબલ (ડિશ) ટીવી પર ચાલતા કોઈ ન્યૂઝ પોર્ટલ અને ન્યૂઝ ચેનલ નથી. આ પ્રકારના પત્રકારની નિમણૂક કરી શકાતી નથી. કે જો કોઈ વ્યકિત આવું કરે તો તે પ્રેસ આઈડી જારી કરી શકશે નહીં, તે ગેરકાયદેસર છે અને તેની સામે પગલાં લેવામાં આવે તે ખાતરી છે. દાખલા તરીકે હાલમાં અનેક લોકો યુ-ટ્યુબ પર પોતાની ન્યૂઝ ચેનલ બનાવીને પોતાનું આઈડી કાર્ડ બનાવીને ગામડાઓમાં અને નાના કસબાઓમાં લોકોને મીડિયાની ધાક-ધમકી આપીને તોડપાણી કરતા હોય છે, તેમની આવનારા સમયમાં ધરપકડ કરીને જેલના સળીયા ગણતા કરવામાં આવશે.

જો કોઈ આર.એન.આઈ.ના નામે પોર્ટલ અથવા અખબાર ચલાવતા જોવા મળે છે, તો તેમના સામે કડક પગલા લેવામાં આવશે અને આવા વ્યકિતને માફ કરવામાં આવશે નહીં. તદ્દ ઉપરાંત આર.એન.આઈ રજિસ્ટ્રેશન હોવા છતાં પણ પીળું પત્રકારત્વ કરતાં હશે તેવી સંસ્થાઓ સામે પણ આકરા પગલા ભરવામાં આવશે. સરકારની નજરમાં આવ્યું છે કે, નાના ચોપાનિયા અને સાપ્તાહિકો પોતાની રજિસ્ટ્રેટ કંપનીની ફાકા ફોજદારીના જોર પર સામાન્ય જનતાને લૂટવાનો ધંધો કરતા હોય છે. આમ પીળું પત્રકારત્વ કરતાં લોકો સામે પણ સરકાર આવનારા ટૂંક જ સમયમાં લાલ આંખ કરશે. રજિસ્ટ્રેટ કંપનીઓના માલિકોને પણ જેલના સળીયા પાછળ ધકેલવામાં આવશે.

રાજયભરની જિલ્લા માહિતી નિયામકની કચેરીઓને આવા બોગસ પત્રકારોને ઝડપી પાડવા માટેના આવનારા થોડા સમયમાં નિર્દેશ આપવામાં આવશે. તદ્દ ઉપરાંત પીળું પત્રકારત્વ કરતી સંસ્થાઓના વિરૂદ્ઘમાં સામાન્ય લોકો પોતે પણ જિલ્લા માહિતી નિયામક અધિકારીની કચેરીમાં અરજી કરી શકે છે.

ગુજરાતમાં પણ છેવાડાના વિસ્તારોમાં અને કસબાઓમાં નાના પાયે સમાચાર પત્રો ચલાવનારાઓ અને સરકાર માન્ય ડિગ્રી વગરના બોગસ પત્રકારો દ્વારા તોડ-પાણીના કિસ્સાઓ વધુ સામે આવી રહ્યાં હોવાથી પત્રકારત્વ સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યાં હતા. આવા પત્રકારોએ રીતસરના લોકોને લૂટવાનું શરૂ કરી દેવાના કારણે ગુજરાત સરકાર દ્વારા પણ આવા પત્રકારો પર ગાળીયો કસવાનો નિર્ણય કરી લીધો છે.

(3:59 pm IST)