કોરોના કેસોમાં ઘટાડો
૨૪ કલાકમાં ૧૬,૩૭૫ લોકો સંક્રમિતઃ ૨૦૧ દર્દીના મોત
ભારતમાં કોરોના કહેરનો મૃત્યુઆંક દોઢ લાખની નજીક પહોંચ્યો જેની સામે ૯૯.૭૫ લાખ દર્દી સાજા થયા
નવી દિલ્હી, તા.૫: દેશમાં ભલે કોરોના સંક્રમણ ફેલાવાની ઝડપ ધીમી થઈ હોય પરંતુ રોજેરોજ તેના કારણે મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા ૨૦૦થી વધુ નોંધાઈ રહી છે. તેથી જ હવે દેશમાં કુલ મૃત્યુઆંક એકાદ દિવસમાં દોઢ લાખના આંકને આંબી જશે. મંગળવારે, કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૬,૩૭૫ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૦૧ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૩,૫૬,૮૪૫ થઈ ગઈ છે.
બીજી તરફ, દેશમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૯૯ લાખ ૭૫ હજાર ૯૫૮ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૨૯,૦૯૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૨,૩૧,૦૩૬ એકિટવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૪૯,૮૫૦ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે
નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૪ જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ ૧૭,૬૫,૩૧,૯૯૭ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના ૨૪ કલાકમાં ૧૭,૬૫,૩૧,૯૯૭ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે
ગુજરાતની વાત કરીએ તો, કોરોના વાયરસના નવા ૬૯૮ કેસ નોંધાયા છે. રાજયમાં ૨૪ કલાકમાં ૯૮૯ દર્દી સાજા પણ થયા છે જયારે ૨૪ કલાકમાં ૩ દર્દીનાં જ મૃત્યુ થયા છે. રાજયમાં અત્યાર સુધીમાં કુલ ૨,૩૪ ૫૫૭૮ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.