દેશની રૂની નિકાસ ૪૦ ટકા જેટલી વધીને ૭૦ લાખ ગાંસડી થવાનો અંદાજ
રૂપિયામાં ઘસારો અને વૈશ્વિક ઊંચા ભાવને કારણે નિકાસકારો કરે છે વધુ કોન્ટ્રેકટસ
નવી દિલ્હી : વર્ષ 2020-2021ની મોસમમાં દેશની રૂની નિકાસ ૪૦ ટકા જેટલી વધી ૭૦ લાખ ગાંસડી રહેવાનો અંદાજ મુકાઈ રહ્યો છે. આ આંક હાંસલ થશે તો છેલ્લા સાત વર્ષનો તે સૌથી વધુ હશે. રૂપિયામાં ઘસારો અને વૈશ્વિક ઊંચા ભાવને કારણે દેશના નિકાસકારો વધુ કોન્ટ્રેકટસ કરી રહ્યા છે. ગઈ મોસમમાં ભારતની રૂની નિકાસનો આંક ૫૦ લાખ ગાંસડી રહ્યો હતો.
યાર્ન નિકાસ ઘટી રહી છે. ૨૦૧૩-૧૪માં ૧૩૧.૩૪ કરોડ કી.ગ્રા.ની ટોચે રહ્યા બાદ કોટન યાર્નની નિકાસ સતત ઘટી રહી છે. ૨૦૧૯-૨૦માં નિકાસ આંક ઘટી ૯૫.૯૦ કરોડ કી. ગ્રા. રહ્યો હતો. આ ક્ષેત્રને પ્રોત્સાહનો પાછા ખેચી લેવાતા નિકાસ પર તેની અસર પડી છે, એમ સાઉથ ઈન્ડિયા મિલ્સ એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન અન્ય એક અહેવાલ પ્રમાણે ચીન ખાતેથી કપાસની આયાતને અટકાવી દેતો આદેશ અમેરિકાની સરકારે જારી કર્યો છે ચીનમાં માનવ હક્કોના થઈ રહેલા ભંગને ધ્યાનમાં રાખી અમેરિકાનો આ નિર્ણય આવી પડયો છે.