સ્વીડનનાં શાહી દંપતીએ કરી વડાપ્રધાન મોદી સાથે મુલાકાત : ત્રણ કરાર પર કર્યા હસ્તાક્ષર
કિંગ ગુસ્તાફ અને રાષ્ટ્રપતિ કોવિંદ વચ્ચેની વાતચીત બાદ બંને પક્ષે કરારો થયા
નવી દિલ્હી :વેપાર અને રોકાણ, નવીનતા અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારત સાથેના દ્વિપક્ષીય સહયોગને વિસ્તૃત કરવા માટે સ્વીડનના કિંગ કાર્લ સોળમા ગુસ્તાફે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે સઘન વાતચીત કરી હતી. કિંગ ગુસ્તાફ અને રાષ્ટ્રપતિ કોવિંદ વચ્ચેની વાતચીત બાદ બંને પક્ષે ધ્રુવીય વિજ્ઞાન, નવીનતા અને સંશોધન અને દરિયાઇ ક્ષેત્રમાં સહયોગ માટે ત્રણ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા
વધુમાં, મોદી અને રાજા ગુસ્તાફની અધ્યક્ષતામાં નવીનતા નીતિ અંગે ભારત-સ્વીડન ઉચ્ચ સ્તરની નીતિ સંવાદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં, બંને પક્ષોએ સંશોધન અને વિકાસના ક્ષેત્રમાં સંબંધોને વિસ્તૃત કરવાની રીતો પર ચર્ચા કરી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, બંને નેતાઓએ ભાવિ પડકારોને પહોંચી વળવા બંને દેશો વચ્ચે સહયોગી તકનીકી નવીનીકરણની ભૂમિકા પર ભાર મૂક્યો છે. આ અગાઉ વિદેશ પ્રધાન એસ જયશંકર પણ તેઓ મળ્યા હતા. તેમણે સાંજે તેમના સ્વીડન સમકક્ષ એન લિન્ડે સાથે વિવિધ મુદ્દાઓ પર વિગતવાર વાત કરી. રાજા ગુસ્તાફ તેમના દેશના ઉચ્ચ સ્તરીય ઉદ્યોગપતિઓના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરી રહ્યા છે.