ટાટા ગ્રુપ એર ઇન્ડિયા ખરીદવા માટે વિચારશેઃ એન.ચંદ્રશેખરન
એર ઇન્ડિયા ખરીદવાનો નિર્ણય ટાટા સન્સ દ્વારા નહીં લેવાય, પરંતુ વિસ્તારા કરશે
નવી દિલ્હી તા.૪: ટાટા ગ્રુપના ચેરમેન એન.ચંદ્રશેખરને જણાવ્યું છે કે ટાટા ગ્રુપ એર ઇન્ડિયા ખરીદવા અંગે વિચારણા કરી શકે છે. તેમણે એર ઇન્ડિયા માટે બીડ સુપરત કરવાનો ઇન્કાર કર્યો નથી. તેમણે જણાવ્યું હતું કે હું અમારી ટીમને આ અંગે વિચારણા કરવા કહીશ. પોતાના પુસ્તક બ્રિજિટલ નેશનના વિમોચન દરમિયાન ચંદ્રશેખરને આ વાત કરી હતી, જો કે તેમણે સ્પષ્ટતા કરી હતી કે એર ઇન્ડિયા ખરીદવાનો નિર્ણય ટાટા સન્સના નામે નહીં, પરંતુ વિસ્તારા દ્વારા કરવામાં આવશે.
તેમણે એવું પણ જણાવ્યું હતું કે હું વિસ્તારા અને એર એશિયા ઉપરાંત કોઇ બીજી એરલાઇનનું તેને મર્જ નહીં કરવામાં આવે ત્યાં સુધી સંચાલન કરવાનો નથી. તેમાં થોડી મુશ્કેલી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે એર ઇન્ડિયાને સંપૂર્ણપણે વેચવાનો નિર્ણય કર્યો છે. ચંદ્રશેખરને જણાવ્યું છે કે એવિયેશન બિઝનેસનો કોઇ ઉકેલ શોધવો પડશે. અહેવાલ અનુસાર ટાટા ટ્રસ્ટના વડા રતન ટાટા એર ઇન્ડિયા ખરીદવાનો વિચાર કરી શકે છે.