મુખ્ય સમાચાર
News of Friday, 4th October 2019

પીએમસી બેંક : છ સ્થળો ઉપર ઈડીના દરોડાથી ભારે ચકચાર

સમગ્ર મામલામાં મનીલોન્ડરિંગ કેસ દાખલ કરાયો : મનીલોન્ડરિંગ એક્ટ હેઠળ ક્રિમિનલ ફરિયાદ દાખલ થયા બાદ છ સ્થળ ઉપર દરોડા પડ્યા : નવી વિગતો ખુલી શકે

મુંબઈ,તા.૪ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા આજે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં છ જગ્યાઓએ દરોડા પાડ્યા હતા. પીએમસી બેંક કૌંભાડના મામલામાં આ દરોડા પાડવામાં આવ્યા હતા. પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંક કેસમાં છેતરપીડીના મામલામાં તપાસ કરવાના હેતુસર કાર્યવાહી ચાલી રહી છે. ઈડી દ્વારા દરોડા પાડીને મનીલોન્ડરિંગ કેસ દાખલ કર્યો છે. અધિકારીઓએ કહ્યું છે કે, આ દરોડા ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ પાડવામાં આવ્યા હતા. કેન્દ્રિય સંસ્થા દ્વારા તપાસ ચાલી રહી છે. ઈડીએ શુક્રવારે મુંબઈના ૬ ઠેકાણા પર પણ દરોડા પાડ્યા હતા.

      રાકેશ અને સારંગ વાધવાનની મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે ગુરૂવારે ધરપકડ કરી છે. ઈઓડબ્લ્યુની એફઆઈઆરના આધારે ઈડીને કેસ નોંધી લીધો છે. એનપીએ ઓછું બતાવવા અને અન્ય કંપનીઓના દેવાની વાસ્તિવક રકમ છુપાવવાના કારણે આરબીઆઈએ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો- ઓપરેટિવ બેન્ક પર ગત સપ્તાહે ૬ મહિનાનો પ્રતિબંધ લગાવી દીધો હતો. બેન્કના સસ્પેન્ડેડ એમડી જોય થોમસે આરબીઆઈને પત્ર લખીને જણાવ્યું કે, એચડીઆઈએલ પર પીએમસીનો ૬૫૦૦ કરોડ રૂપિયાનું દેવું છે. આ બેન્કની કુલ લોનનું ૭૩ ટકા છે. એચડીઆઈએલએ દેવાની ભરપાઈ કરી નથી.

રાકેશ અને સારંગ વાધવાન વિરૂદ્ધ ગત સોમવારે ઈમિગ્રેશન બ્યુરોએ લુકઆઉટ સર્કુલર પણ બહાર પાડ્યું હતું. પીએમસી મામલામાં કોર્પોરેટર અફેર્સ મિનિસ્ટ્રી એચડીઆઈએલ વિરૂદ્ધ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, વર્ષ ૨૦૦૮ બાદથી બેંકને ૪૩૫૫.૪૬ કરોડનું નુકસાન થઈ ચુક્યું છે. એફઆઈઆરમાં તમામના નામ આવી ચુક્યા છે. જેમાં પૂર્વ ચેરમેન, મેનેજિગ ડિરેક્ટર, વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે.

(8:06 pm IST)