કર્મચારીઓ લક્ષદીપ ટાપુ પર જાય તો રજા પ્રવાસ રાહત (LTC) લાભ
સોસાયટી ફોર પ્રમોશન ઓફ નેચર ટુરિઝમ એન્ડ સ્પોર્ટસ સંસ્થાના માધ્યમથી થતા પ્રવાસને સરકારની માન્યતા
રાજકોટ તા. ૪ :.. રાજય સરકારે રજા પ્રવાસ રાહત યોજના અંતર્ગત લક્ષદીપ ટાપુ સમુહના પ્રવાસના દાવાઓની આકારણી કરવાનું નક્કી કર્યુ છે. આ અંગે નાણા વિભાગના નાયબ સચિવ શૈલેષ વી. પરમારની સહીથી તા. ૧ ઓકટોબર ર૦૧૯ ના રોજ પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.
પરિપત્રમાં જણાવાયું છે કે પુખ્ત વિચારણાના અંતે ઠરાવવામાં આવે છે કે, રજા પ્રવાસ રાહત યોજના અંતર્ગત લક્ષદીપ ટાપુ સમુહના સ્થળો વચ્ચે મુસાફરી માટે સોસાયટી ફોર પ્રમોશન ઓફ નેચર ટુરીઝમ એન્ડ સ્પોર્ટસ સંસ્થા દ્વારા ચલાવવામાં આવતા જહાજ દ્વારા કરવામાં આવેલ મુસાફરીને માન્ય ગણવાની રહેશે. સદરહુ મુસાફરી ખર્ચના દાવા માટે અધિકારી-કર્મચારીની પગાર આધારીત પાત્રતા ધ્યાને લીધા સિવાય, એસપીઓઆરટીએસ સંસ્થા દ્વારા આપવામાં આવતા ફકત મુસાફરી ખર્ચ અને સર્વિસ ટેકસ સાથેના પ્રમાણ પત્ર મુજબના દાવાઓ મંજૂર કરવાના રહેશે.
પ્રસ્તુત ઠરાવની રવાનગી પહેલ જો કોઇ કેસો વિનિયમીત થયેલ હશે તો તે પુનઃ ઉખેડવાના રહેશે નહીં. હાલમાં તિજોરી કચેરી ખાતે પડતર હોય તેવા તમામ કેસો પરત્વે આ સુચના મુજબ અમલ કરવાનો રહેશે.