હવે કાશ્મીરમાં હાઇસ્કુલ અને કોલેજો ખોલવાનું જોખમ ઉઠાવાશે
જમ્મુઃ શું કાલથી કાશ્મીરનું વાતાવરણ બદલી જશે? આવી આશા આશંકા પણ છે. કેમ કે પ્રશાસને આજથી બધી હાયર સેકન્ડરી સ્કુલોને ખોલવાની જાહેરાત કરી છે અને બધુ બરાબર રહેશે તો ૯ ઓકટોબરથી કાશ્મીરની બધી કોલેજો પણ ખોલી દેવાશે.
હાઇસ્કુલ સુધીના ધોરણો ગયા મહીનાથી શરૂ કરાયા છે. પણ તેમાં આવનાર વિદ્યાર્થીઓની સંખ્યા બિલકુલ નગણ્ય છે. તેના કારણો પણ છે. સરકાર દ્વારા લગાવાયેલમ અઘોષિત કર્ફયુના કારણે બાળકોને શાળા સુધી પહોંચવું હજુ અશકય છે.ગલીઓ અને રોડ પર નિકળતા સુરક્ષાકર્મીઓ કર્ફયુ પાસ માંગે છે. અને સરકાર બયાન બહાર પાડીને કહે છે કે કફર્યુ છે જ નહીં.
બાળકોને શાળાઓ સુધી લેવા મુકવા માટેના સ્કુલવાન કે ખાનગી વાહનો પણ દેખાતા નથી. આ પરિસ્થિતિમાં હાયર સેકન્ડરીના વિદ્યાર્થી આવશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. બીજુ એક કારણ સંચાર માધ્યમો પર લાગેલો પ્રતિબંધ પણ છે. અબી ગુજરનો રહેવાસી રહીમ જેણે પોતાના નાના બાળકોને રજી પણ શાળાએ નથી મોકલ્યા અને મોટી દિકરીને ૧૨માં ધોરણમાં શાળાએ મોકલવા તૈયાર નથી તેણે કહ્યું કે મારૃં બાળક શાળાએ પહોચ્યું કે નહીં,ઘરે કયારે આવશે તેની મને ખબર કેવી રીતે પડે,સંચાર માધ્યમો જ બંધ છે.
જો કે સંચારબંધી, લોક ડાઉન અને અઘોષિત કર્ફયુ વચ્ચે કાશ્મીરમાં આજથી હાયર સેકન્ડરી સ્કુલો તથા ૯ ઓકટોબરથી કોલેજો શરૂ કરવાના પ્રશાસનના નિર્ણયમાં કેટલાક જોખમો પણ રહેલા છે. નામ ન છાપવાની શરતે એક સુરક્ષા અધિકારીએ કહ્યું કે ૧૨મું ભણતા અને કોલેજના વિદ્યાર્થીઓ પથ્થરબાજીમાં સંડોવાયેલા હોય છે. જો તેમને ઘર બહાર નીકળવાની પરવાનગી અપાશે તો કાશ્મીરમાં પથ્થરબાજી ફરીથી શરૂ થશે. તેમણે સ્વીકાર્યું કે શાળા કોલેજ બંધ રહેવાથી બાળકોનું શિક્ષણ બગડે છે. પણ એ વાતનો ડર પણ છે કે સ્કુલ કોલેજો ખુલ્વાથી કાશ્મીરમાં પરિસ્થિતિ બગડશે અને પથ્થરમારો વધશે.