મુખ્ય સમાચાર
News of Friday, 4th October 2019

મહારાષ્ટ્રમાં કોંગ્રેસનો ટિકિટ વહેંચણીને લઈને ડખ્ખોઃ સંજય નિરુપમ બોલ્યા, કોંગ્રેસનો નહિ કરૂ પ્રચાર

કોંગ્રેસ પાર્ટી મારી સેવા ઇચ્છતી નથી, મેં વિધાનસભા ચૂંટણી માટે મુંબઈમાં એક ટિકિટ માંગી હતી પરંતુ મને આપવામાં આવી નથી, મેં હાઇકમાન્ડને પહેલા જ કહ્યું હતું કે આવી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી માટે ચૂંટણી પ્રચાર હું નહિ કરૂ

મુંબઈ, તા.૪: મહારાષ્ટ્ર કોંગ્રેસ વિધાનસભામાં ચૂંટણીની ટિકિટને લઈને હોબાળો શરુ થઇ ગયો છે. કોંગ્રેસ નેતા સંજય નિરુપમે ટિકિટ નહિ મળવા પર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના પ્રચાર કરવા માટે ઇનકાર કર્યો છે. વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ ટિકિટ ન મળવા પર તેમને બળવો કરીને ટ્વીટ કર્યું છે.

તેમણે ટ્વીટ કર્યું હતું, એવામાં એવું લાગે છે કે હવે કોંગ્રેસ પાર્ટી મારી સેવા ઇચ્છતી નથી. મેં વિધાનસભા ચૂંટણી માટે એક સીટ માંગી હતી, તે પણ આપવામાં આવી નથી.  મેં હાઇકમાન્ડને પહેલા જ કહ્યું હતું કે આવી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી માટે ચૂંટણી પ્રચાર હું નહિ કરું. આ મારો આખરી નિર્ણય છે.

કોંગ્રેસ નેતા સંજય નિરુપમે કહ્યું હતું, મને આશા છે કે કોંગ્રેસ પાર્ટીને હજુ ગુડબાય કહેવાના દિવસ આવ્યા નથી. કોંગ્રેસ હાઇકમાન્ડ જેવી રીતે મારી સાથે વ્યવહાર કરે છે, તે પરથી લાગતું નથી કે કોંગ્રેસમાં વધુ સમય સુધી હું રહી શકું.

(10:05 am IST)