મુખ્ય સમાચાર
News of Wednesday, 4th August 2021

બિલ પાસ થયું ત્યારે મંત્રી હતા હવે ડ્રામા કરી રહ્યા છો

અકાલી સાંસદ હરસિમરત કૌર અને કોંગ્રેસ સાંસદ રવનીતસિંહ બિટ્ટુ વચ્ચે કૃષિ બિલ મુદ્દે તડાફડી

નવી દિલ્હી તા. ૪ :ત્રણ નવા કૃષિ કાયદાને લઈને એક તરફ વિપક્ષ એક થઈને કેન્દ્ર સરકારનો વિરોધ કરવાની વાત કરી રહ્યો છે તો બીજી તરફ અકાલી અને કોંગ્રેસ નેતા આમને-સામને આવી ગયા. આજે સંસદની બહાર કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ સાથે કોંગ્રેસ સાંસદ રવનીત સિંહ બિટ્ટૂ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. પ્લેકાર્ડ્સ લઈને સંસદની બહાર પ્રદર્શન કરી રહેલા હરસિમરત કૌર બાદલ અને અકાલી સાંસદોની પાસે જઈને રવનીત બિટ્ટૂએ કહ્યુ કે તમારૂ આ પ્રદર્શન નકલી છે. આ દરમિયાન મીડિયા પણ ભેગુ થઈ ગયું હતું.

રવનીત બિટ્ટૂએ કહ્યુ કે, તેનું આ પ્રદર્શન નકલી છે. તેમણે ખુદ સંસદમાંથી આ બિલ પાસ કરાવ્યું છે અને ત્યારે તેઓ મંત્રી હતા.ત્યારબાદ પદ પરથી રાજીનામુ આપી દીધુ, જયારે જનતામાં વિરોધ શરૂ થઈ ગયો હતો. તેની આ ટિપ્પણી પર હરસિમતર કૌરે કહ્યુ કે, હું મંત્રી નહતી. તેના પર રવનીત બિટ્ટૂએ કહ્યુ કે, તમે ખોટુ બોલી રહ્યાં છો. કૌરે કહ્યું કે, અમે પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું.

 તેના પર રવનીતે કહ્યુ- તમે મંત્રી રહેતા તેનો વિરોધ ન કર્યો. બિલ પાસ થઈ ગયુ અને કંઈ ન કહ્યું. પછી ઘરે આવી રાજીનામું આપ્યું. હરસિમરત કૌર બાદલે કહ્યુ કે, તમારા ભાગવાને કારણે આમ થયું હતું. બાદલે કહ્યુ કે રાહુલ ગાંધીએ સંસદ છોડી દીધી અને કોંગ્રેસના વોકઆઉટને કારણે બિલ પાસ થઈ ગયું હતું.

રવનીત સિંહે કહ્યુ- આ લોકો ડ્રામા કરી રહ્યા છે. આ લોકો ખોટા છે. બિલ પાસ થવાના બે મહિના બાદ સુધી સુખબીર સિંહ બાદલ અને પ્રકાશ સિંહ બાદલ ગાયબ રહ્યા. એટલું જ નહીં કેન્દ્ર સરકાર વિરૂદ્ઘ વિપક્ષી એકતાની જગ્યાએ આપસમાં ટકરાવાના સવાલ પર બિટ્ટૂએ કહ્યુ કે, તેની સાથે અમે કેવી એકતા કરીએ? આ લોકોએ તો સંસદમાં બિલ પાસ કરાવ્યું હતું અને હવે વિરોધનો રોજ ડ્રામા કરે છે. ઉલ્લેખનીય છે કે પંજાબની રાજનીતિમાં અકાલી દલ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો રહે છે અને બંને રાજયમાં એકબીજાના વિરોધી છે.

(3:20 pm IST)