દિલ્હીમાં ૯ વર્ષની માસૂમ બાળકીની શંકાસ્પદ સંજોગોમાં હત્યા અને તેને સળગાવી નાખવાની ઘટનાથી રોષની લાગણીઃ દેખાવો થયા
દિલ્હીના કેન્ટ સ્મશાનમાં ૧લી ઓગષ્ટે ૯ વર્ષની એક બાળકીનો મોત અને કથીત રીતે પરિવારની પરવાનગી વગર મૃતદેહને સળગાવી નાખવાના મામલાથી સમગ્ર વિસ્તાર ઉકળી પડયો છે અને હવે આ બાબતે રાજનીતિ પણ થવા લાગી છે. સ્થાનિક લોકોની સાથે સાથે પરિવારને મળવા પહોંચેલા નેતાઓ પણ પોલીસના વલણ પર વાંધો દર્શાવી રહ્યા છે. દરમિયાન પોલીસે કહ્યુ છે કે અમે નિષ્પક્ષ તપાસ કરીશું. આ મામલામાં ૪ આરોપીઓની ધરપકડ કરી જેલમાં મોકલવામાં આવેલ છે. દિલ્હીના મુખ્યમંત્રી આજે પીડીત પરિવારને મળ્યા હતા. અત્રે નોંધનીય છે કે એ બાળકી સ્મશાન ઘાટમાં પાણી ભરવા ગઈ હતી તે પછી પરત આવી ન હતી. એવુ કારણ અપાયુ કે વોટર કુલરમાં કરંટ આવવાને કારણે તે મરી ગઈ અને બાદમાં ગુપચુપ અંતિમવિધિ પણ કરી દેવામાં આવી. પરિવારને કશું ખોટુ થયાનુ જણાય રહ્યુ છે. દરમિયાન દિલ્હીમાં ગઈકાલે ઉગ્ર દેખાવો થયા હતા અને બાળકીના હત્યારાઓને ફાંસી આપવાની માંગણી થઈ હતી.