લેબનોનની રાજધાની બૈરુતમાં પોર્ટ નજીક પ્રચંડ વિસ્ફોટ: 10 લોકોના મોત : અનેક ઈમારતોને નુકશાન : સેંકડો લોકોને ઇજા
બંદરગાહ પાસે થયેલ વિસ્ફોટથી શહેરમાં ધુમાડાના ગોટેગોટા : અનેક ઘરોની બારીઓ તૂટી : છત પણ ધરાશાયી
નવી દિલ્હી : લેબેનોનની રાજધાની બેરુતમાં પોર્ટની નજીક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. ન્યૂઝ એજન્સીએ સુરક્ષાદળો અને ડોક્ટરોને ટાંકી જણાવ્યુ છે કે આ વિસ્ફોટમાં આશરે 10 લોકોના મોત થયા છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે દૂરના અંતર સુધી તેની અસર દેખાઈ હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ વિસ્ફોટમાં વ્યાપક નુકસાન થયું છે અનેક ઈમારતોને નુકશાન થયું છે અને સેંકડો લોકોને ઇજા પહોંચી છે
લેબેનોનની સ્થાનિક ન્યૂઝ એજન્સી NNA તથા સુરક્ષા સૂત્રોએ કહ્યુ છે કે વિસ્ફોટ પોર્ટ એરિયામાં થયો હતો. જ્યાં ગોદામોમાં વિસ્ફોટક રાખવામાં આવ્યા હતા. જોકે એ સ્પષ્ટ થયુ નથી કે વિસ્ફોટ કેવી રીતે થયો અને ગોદામોમાં કેવા પ્રકારના વિસ્ફોટકો રાખવામાં આવ્યા હતા.
અમુક સ્થાનિક ટીવી ચેનલે જણાવ્યું છે કે વિસ્ફોટ બેરુતના બંદરગાહ પાસે થયો હતો. શહેરના ઘણા વિસ્તારમાં ઘુમાડાના ગોટા જોવા મળ્યા. નજીક રહેતા લોકોનું કહેવું હતું કે વિસ્ફોટથી બારીઓ તૂટી ગઈ અને એક ઘરની છત પણ તૂટી ગઈ.