મુંબઇ રહેવા યોગ્ય ન લાગતુ હોય તો તમે ખાનગી સુરક્ષાનો સહારો લેવા માંડો : પ્રિયંકા ચતુર્વેદી
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્નિએ પોલીસ કામગીર પર કરેલ વ્યંગનો સણસણતો જવાબ : ભાજપીઓ ઉધ્ધવ સરકાર પર નિશાન લગાવતા હોવાનો ઇશારો
મુંબઇ તા. ૪ : સુશાંતસિંહ રાજપૂત સ્યુસાઇડ કેસની તપાસ પર હવે રાજકીય રંગ ચડવા લાગ્યો છે. આ મામલામાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ફડળવીસના પત્નીએ આપેલ નિવેદન પછી શીવસેનાએ મોરચો માંડયો છે.
'મુંબઇ હવે રહેવા માટે સુરક્ષિત નથી' તેવા અમૃતા ફડણવીસના નિવેદન પર રાજયસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ વળતો જવાબ આપ્યો છે. તેઓએ જણાવ્યુ છે કે ભાજપના નેતાઓ અને તેમની રાજનીતિ આકાંક્ષાવાળા પરિવારોને હું ચેલેન્જ કરૂ છુ કે પોતાની પોલીસ સુરક્ષા છોડી દયે અને ખાનગી એજન્સીઓની સુરક્ષા સ્વીકારી લ્યે. જે તેમને સુરક્ષા આપી શકે. આ લોકો બસ આમ જ મુંબઇ પોલીસ ઉપર આરોપ લગાવી તેમને બદનામ કરવાનું શરમજનક કાર્ય કરે છે.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે સોમવારે આ મામલે કરેલ ટવીટનો તેમણે આ રીતે સણસણતો જવાબ વાળ્યો છે. સુશાંતસિંહ આત્મહત્યા કેસને લઇને મુંબઇ પોલીસની કામગીરીને વખોડી ભાજપીઓ સતત ઉધ્ધવ સરકાર પર નિશાન લગાવી રહ્યાનું તેઓએ જણાવેલ.