શાકભાજી પરથી વાયરસને દૂર કરવા માટે હોમમેડ સેનિટાઈઝરનો કરો ઉપયોગ
નવી દિલ્હી, તા.૪: કોરોના વાયરસ મહામારીથી બચવા માટે આપણે કેટલાક પ્રકારની સાવચેતી રાખવાની જરૂર છે. આ દરમિયાન દ્યણા લોકો એવા પણ છે જેઓ માર્કેટમાંથી શાકભાજી ખરીદીને લાવ્યા બાદ તેને સાદા પાણીથી ધોઈ રહ્યા છે. આટલું જ નહીં કેટલાક લોકો તો સાબુવાળા પાણીથી તેને સાફ કરી રહ્યા છે. જે શાકભાજીની ગુણવત્તાને તો ખરાબ કરે જ છે, સાથે જ તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે. તેથી આજે અમે તમને એક સેનિટાઈઝર બનાવતા શીખવીશું જેનો ઉપયોગ તમે શાકભાજી-ફ્રૂટને સાફ કરવા માટે કરી શકો છો.
જરનલ ફેડરલ ઈન્સ્ટીટ્યૂટ ફોર રિસ્ક અસેસમેન્ટની એક સ્ટડી મુજબ, ફળ અને શાકભાજી દ્વારા વાયરસ તમારા સુધી પહોંચી શકે છે. કેનેડા સ્થિત રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ફૂડ સેફ્ટી ડિરેકટર જેફ ફોર્બરના જણાવ્યા પ્રમાણે, ફળ અને શાકભાજીને સાબુવાળા પાણીથી વોશ કરવાં હેલ્થ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી જરૂરી છે કે, ફ્રૂટ અને શાકભાજીને તમે એવા સેનિટાઈઝરથી સાફ કરો જેનાથી તેની ગુણવત્તા જળવાઈ રહે અને તમે સ્વસ્થ પણ રહો.
સામગ્રીઃ ૧ કપ કડવા લીમડાના પાન, ૧ કપ પાણી, ૧ સ્વચ્છ સ્પ્રે બોટલ/સાદી બોટલ, ૧ ચમચી બેકિંગ સોડા,
બનાવવાની રીતઃ
સૌથી પહેલા લીમડાના પાનને ધોઈને સાફ કરી લો
એક વાસણમાં પાણી લઈને તેને ગેસ પર મૂકી ગરમ થવા દો. તેમાં લીમડાના પાન પર ઉકાળી લો
મિશ્રણને ધીમા તાપ પર ૧૫-૨૦ મિનિટ સુધી ઉકાળો
ગેસ બંધ કરીને મિશ્રણને ઠંડુ થવા દો. તે ઠંડુ થઈ જાય એટલે તેમાં બેકિંગ સોડા ઉમેરી દો અને સારી રીતે મિકસ કરી લો
આ મિશ્રણને એક બોટલમાં ભરી લો.
જયારે પણ બહારથી શાકભાજી કે ફ્રૂટ ખરીદીને લાવો ત્યારે આ પાણીથી તેને સાફ કરી લો અને તેને થોડા સમય માટે એમ જ રહેવા દો
બાદમાં શાકભાજી અને ફ્રૂટને સાદા પાણીથી ફરીથી ધોઈને સાફ કરી લો.
કઈ રીતે કામ કરે છે આ હોમમેડ સેનિટાઈઝર?
કડવા લીમડાના પાન અનેક બીમારીઓના ખતરાને ઓછો કરે છે. લીમડાના પાન અને બેકિંગ સોડામાં એન્ટી બેકટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી વાયરલ ગુણ હોય છે. તેથી જો તેમાંથી સેનિટાઈઝર બનાવીને તેનો ઉપયોગ કરવામાં આવે તો શાકભાજી પર રહેલા હાનિકારક બેકટેરિયા ખતમ થઈ જાય છે.