કેન્દ્રીય કર્મચારીઓ પેન્શનરોને વધુ એક ભેટ
સીજી એચ એસ સ્કીમમાં અપાઇ રાહત
નવી દિલ્હી તા.૪: કોરોનાના સંકટ વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોદી સરકાર સતત રાહત આપતા નિર્ણયો લઇ રહી છે. મોંઘવારી ભથ્થામાં વધારો, વાર્ષિક પ્રદર્શન મૂલ્યાંકન રિપોર્ટ ફાઇલ કરવાની અંતિમ તારીખ ૩૦ જૂન સુધી વધાર્યા પછી હવે સરકારે સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સ્કીમ (સીજીએચએસ) હેઠળ રાહત આપી છે. સરકારે પેન્શનર્સ અને ૩૧ માર્ચ રિટાયર થયેલા કર્મચારીઓ માટે સીજીએચએસ કાર્ડની વેલીડીટીને ૩૦ એપ્રિલ સુધી વધારી દીધી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નોટીફીકેશન બહાર પાડીને આની જાણ કરી છે. નોટીફીકેશન અનુસાર, વાર્ષિક ધોરણે કાર્ડનું સબસ્ક્રીપ્શન લેનારા પેન્શનરો જેમના કાર્ડની વેલીડીટી ૩૧ માર્ચે પુરી થઇ ગઇ છે. તેઓ પોતાના કાર્ડનો ઉપયોગ હવે ૩૦ એપ્રિલ સુધી કરી શકે છે. તે જે કર્મચારીઓ ૩૧ માર્ચે રીટાયર થયા છે અને જેમના નામ પીપીઓમાં નોંધાયા નથી, જો તેઓ પોતાની અરજી ઈ-મેલ દ્વારા મોકલાવશે તો તેમનું વર્તમાન કાર્ડ એક પેન્શનરના કાર્ડ તરીકે તબ્દીલ થઇ જશે જેની વેલીડીટી ૩૦ એપ્રિલ સુધીની રહેશે.