પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સોફ્ટ હિંદુત્વની પીચ પર બાઉન્ડ્રી ફટકારવાની તૈયારી
અત્યંત રસપ્રદ વળાંકો લેતું પ.બંગાળનું રાજકારણ : દીદીએ ભગવાન શિવનું કાર્ડ ખેલતાં ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે મહાશિવરાત્રી પર્વનો દિવસ પસંદ કર્યો
કોલકાતા, તા. ૪ : પશ્ચિમ બંગાળનું રાજકારણ ખૂબ જ રસપ્રદ વળાંકો લઈ રહ્યું છે. એક તરફ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીને પગલે હિંદુત્વ અને જય શ્રી રામના નારાને લઈ મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરૂદ્ધ અભિયાન છેડ્યું છે. ત્યારે મમતા પણ હવે સોફ્ટ હિંદુત્વની આ પીચ પર જ તક મળે ચોગ્ગો ફટકારવાની તૈયારીમાં છે. ભાજપના રામના નારાના જવાબમાં મમતાએ ભગવાન શિવનું કાર્ડ ખોલ્યું છે. તેમણે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે મહાશિવરાત્રી પર્વનો દિવસ પસંદ કર્યો છે.
મમતા બેનર્જીએ આ વખતે મેદિનીપુરની નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. તેઓ પોતાની જૂની ભવાનીપુર અને નંદીગ્રામ એમ બંને બેઠકો પરથી ચૂંટણી લડે તેવી સંભાવના છે. નંદીગ્રામ ખાતે ઉમેદવારી નોંધાવવા માટે તેમણે ૧૧મી માર્ચનો દિવસ પસંદ કર્યો છે અને તે દિવસે મહાશિવરાત્રી પર્વ પણછે.
એક અહેવાલ પ્રમાણે મહાશિવરાત્રીના દિવસે ઉમેદવારી નોંધાવીને મમતા બેનર્જી પોતે શિવભક્ત હોવાનો પુરાવો આપવા માંગે છે. કારણ કે, હિંદુ ધર્મમાં કોઈ પણ મોટું કામ કોઈ પવિત્ર દિવસ કે અવસર વખતે કરવામાં આવે છે. રાજકીય વર્તુળોમાં થઈ રહેલી ચર્ચા પ્રમાણે ઉમેદવારી માટે મહાશિવરાત્રીનો દિવસ પસંદ કરીને મમતા ભાજપના જય શ્રી રામના નારાનો જવાબ આપવા માંગે છે.