મુખ્ય સમાચાર
News of Thursday, 4th March 2021

કરોડો વર્ષ પહેલા એક શહેર જેટલા વિશાળ કદ ધરાવતો એસ્ટરોઇડ પૃથ્વી સાથે ટકરાવવાના કારણે ડાયનાસોર જાતીનો અંત આવ્યો'તોઃ વૈજ્ઞાનીકોના રિસર્ચમાં ખુલ્યું

અમદાવાદઃતા:૪:  લાખો વર્ષો પહેલા પૃથ્વી પર શાસન કરનાર વિશાળકાય ડાયનાસોરનો અંત કેવી રીતે થયો? વૈજ્ઞાનિકો આ સવાલના મૂળ સુધી પહોંચી ચૂક્યા છે. હાલમાં જ મેક્સિકોના અખાતમાં વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરી રહ્યા હતા. આ રિસર્ચ દરમિયાન તેમને એક ક્રેટર મળી આવ્યો. આ ક્રેટરમાંથી મળી આવેલી એસ્ટરોઇડની ધૂળ પરથી ખબર પડી કે એક વિશાળકાય અંતરિક્ષના ખડકે 6.6 કરોડ વર્ષ પહેલા ડાયનાસોર અને ધરતી પરનાં 75 ટકા જીવનનો નાશ કર્યો હતો.

બ્રુસેલ્સની બ્રિજ યુનિવર્સિટીના ભૂ-રસાયણશાસ્ત્રના પ્રોફેસર સ્ટીવન ડેવિસ કહે છે કે ક્રેટરની ધૂળનો અભ્યાસ કરવાથી જાણવા મળ્યું છે કે કરોડો વર્ષો પહેલા એક શહેર જેટલુ વિશાળ કદ ધરાવતો એસ્ટરોઇડ પૃથ્વી સાથે ટકરાવવાના કારણે ડાયનાસોરનો અંત આવ્યો.

સંશોધનકારોના મતે, આ ધૂળ મળવાની સાથે જ ડાયનાસોરના અંત સાથે ચાલતી આવતી તમામ અટકળોનો પણ અંત આવી ગયો છે. આ સંશોધન સાથે સંકળાયેલા પ્રોફેસર સ્ટીવન ગોડેરીસે કહ્યું હતું કે 'આ ચક્ર હવે આખરે સમાપ્ત થઈ ગયું છે. 150 કિલોમીટરની આસપાસના વિસ્તારમાં ક્રેટરના નમૂના એકત્રિત કરવાની શરૂઆત વર્ષ 2016ની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય ટીમે શરૂ કરી હતી.

ખડકના નમૂનાઓનું મૂલ્યાંકન કર્યા પછી, સંશોધનકારોએ શોધી કાઢ્યુ કે ખડકની અંદર મોટી માત્રામાં ઇરીડિયમ છે, જે પૃથ્વી પર મળવો ઘણો દુર્લભ છે, પરંતુ કેટલાક એસ્ટરોઇડ્સની અંદર ઇરીડિયમ જોવા મળે છે. ઇરીડિયમનું આ સ્તર સામાન્ય કરતા 30 ગણુ વધારે હોય છે. ઇરીડિયમના ઉચ્ચ સ્તરના કારણે જીવતંત્રને નુકસાન થાય છે. ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, જાપાન અને USAની લેબમાં તેની તપાસ કરવામાં આવી હતી.  જેના આધારે વૈજ્ઞાનિકોએ તારણ કર્યુ કે, ઇરીડિયમની વધારે પડતી માત્રાનાં કારણે ડાયનાસોરનો અંત આવ્યો.

ડાયનાસોર લુપ્ત થવાનાં મુખ્ય કારણો શોધવા વૈજ્ઞાનિકોએ વિશ્વભરના 52 સ્થળોએ ભૌગોલિક સ્તરના નમૂનાઓનો અભ્યાસ કર્યો. અભ્યાસમાં સામે આવ્યુ કે, ખડકોમાં સલ્ફરનું પ્રમાણ પણ ઓછું હતુ જ્યારે ચૂનાના પથ્થરની આસપાસના વિસ્તારોમાં સલ્ફરની માત્રા વધારે હતી. બીજી શક્યતા એમ પણ હતી કે, વૈશ્વિક સ્તરે ઠંડા વાતાવરણ અને એસિડ વરસાદના કારણે પૃથ્વી પર રહેતા ડાયનાસોર સહિતના અન્ય જીવતંત્રને ભારે નુકસાન પહોંચ્યું હતું.

(6:30 pm IST)