ખેડૂત આંદોલન લાંબુ ચાલે તેવા એંધાણઃ ઉનાળાને ધ્યાને લઈને પાકા ઓરડા બાંધવાનું શરૃઃ કૂલર અને પંખા પણ લગાવાશે
દિલ્હીની ટીકરી બોર્ડર પર શિયાળાની જેમ ઉનાળો પણ પસાર કરવા ખેડૂતો તૈયાર
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે અને આ આંદોલન લાંબુ ચાલે તેવા ભણકારા વાગી રહ્યા છે.
બીજી તરફ આકરી ગરમી શરુ થઈ ગઈ છે અને હજી ઉનાળાનો સામનો કરવાનો બાકી છે ત્યારે દિલ્હીની ટીકરી બોર્ડર પર ખેડૂતોએ હવે પાકા ઓરડા બાંધવાનુ શરૂ કરી દીધુ છે. જેમાં કૂલર અને પંખા પણ લગાવવામાં આવશે.
ખેડૂતોનુ કહેવુ છે કે, જે રીતે અમે ઘર બનાવીએ છે તે જ રીતે આ ઓરડા બનાવવામાં આવી રહ્યા છે. જેમાં સારી કવોલિટીના મટિરિયલનો ઉપયોગ કરાઈ રહ્યો છે. જેથી ઓરડા વધારે પાકા બને.
ખેડૂતોનુ કહેવુ છીએ કે, શિયાળાની જેમ ઉનાળો પણ બોર્ડર પર પસાર કરવા માટે અમે તૈયાર છીએ જ્યાં સુધી નવા કાયદા રદ નહીં થાય ત્યાં સુધી અહીંથી અમે હટવાના નથી. ધરણા ચાલુ રહેશે. ખેડૂતોએ ધરણા પર બેસવાની સાથે સાથે ખેતીનુ ધ્યાન રાખવા માટે વ્યવસ્થા કરી લીધી છે. એક વખત કાપણી થઈ જાય તે પછી મોટી સંખ્યામાં ખેડૂતો ફરી ધરણા પર બેસવા પાછા ફરશે. ખેડૂતોના આગેવાન રાકેશ ટિકૈત દ્વારા ૨૨ માર્ચ સુધી દેશના વિવિધ રાજ્યોમાં પ્રદર્શન કરીને ખેડૂતોનુ સમર્થન મેળવવાની યોજના બનાવાઈ છે.