નવા સંસદ ભવનથી 'ગુપચુપ' રીતે આવાસ પહોંચશે વડાપ્રધાન !
ઉપરાષ્ટ્રપતિના આવાસ સુધી પણ સુરંગ નિર્માણ કરાશે : સેન્ટ્રલ વિસ્ટાનો માસ્ટર પ્લાન ધ્યાનમાં રાખીને નિર્માણ કરાશે
નવી દિલ્હી, તા. ૪ : રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડીયા ગેટ વચ્ચે નવી ઇમારતો માટે સેન્ટ્રલ વિસ્ટાનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. સુરક્ષા પ્રોટોકોલની ધ્યાનમાં રાખીને સંસદ ભવનને સાંસદોના ચેમ્બર સાથે જોડવામાં આવશે. એટલું જ નહિ સંસદ ભવનમાંથી ગુપચુપ રીતે આવાસ સુધી પહોંચવા માટે વડાપ્રધાન અને ઉપરાષ્ટ્રપતિના આવાસ સુધી પણ સુરંગ નિર્માણ કરાશે સાથે જ કેન્દ્રીય સચિવાલય માટે ૧૦ નવી ઇમારત નિર્માણ કરાશે. રાષ્ટ્રપતિ ભવન, હાલનું સંસદભવન,, ઇન્ડીયાગેટ અને રાષ્ટ્રીય અભિલેખાગારની ઇમારતની યથાવત રખાશે. સેન્ટ્રલ વિસ્ટા પુનર્વિકાસ યોજના મુજબ નવું પી.એમ. હાઉસ અને પી.એમ.ઓ સાઉથ બરાકની તરફ નિર્માણ થશે બીજી બાજુ નોર્થ બ્લોકની પાછળ ઉપરરાષ્ટ્રપતિ આવાસ બનશે.
બીજી બાજુ વડાપ્રધાન આવાસ ૭ લોક કલ્યાણ માર્ગ પર છે આ આવાસને સાઉથ બ્લોકની પાસે નિર્માણ થવાથી સૌથી મોટો ફાયદો એ થશે કે વડાપ્રધાનને તેમના આવાસ પરથી ઓફિસ અને સંસદમાં અવર-જવર માટે ટ્રાફિક રોકવો પડશે નહિ નોર્થ અને સાઉથ બ્લોકમાં નેશનલ હિસ્ટ્રી મ્યુઝીયમ બનશે. સાંસદોના ચેમ્બર સંસદની પાસે સંસદના ટ્રાન્સપોર્ટ અને શ્રમશકિત ભવનની પાસે નિર્માણ થશે.