એસ.સી./એસ.ટી.વ્યક્તિ ઉપર હુમલો થાય એટલા કારણથી જ એસ્ટ્રોસિટી એક્ટ લાગુ પાડી શકાય નહીં : હુમલાનો ભોગ બનેલી વ્યક્તિને એસ.સી./એસ.ટી.સમજીને હુમલો કરાયો હોય તો જ એસ્ટ્રોસિટી એક્ટ લાગુ પાડી શકાય : છત્તીસગઢ હાઇકોર્ટે આરોપીના આગોતરા જામીન મંજુર કર્યા
છત્તીસગઢ : તાજેતરમાં પવાસ શર્મા નામક વ્યક્તિએ આગોતરા જામીન માંગતા નીચલી કોર્ટે તે નામંજૂર કર્યા હતા.જેના કારણમાં જણાવાયું હતું કે જે વ્યક્તિ ઉપર તેણે હુમલો કર્યો છે તે મહિલા એસ.સી./એસ.ટી.છે.તેથી 1989 ની સાલનો શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઈબ એક્ટ કે જે એસ્ટ્રોસિટી એક્ટ તરીકે ઓળખાય છે તે મુજબ ઉપરોક્ત જ્ઞાતિની વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવે તો તેની બિનજામીન લાયક ધરપકડ થઇ શકે છે.
નીચલી કોર્ટના આ ચુકાદા વિરુદ્ધ હાઇકોર્ટે આરોપીના આગોતરા જામીન મંજુર કરતા જણાવ્યું હતું કે ઉપરોક્ત એક્ટ મુજબ હુમલાનો ભોગ બનનાર વ્યક્તિ એસ.સી./એસ.ટી જ્ઞાતિમાંથી આવતી હોય એટલા માત્રથી બિનજામીન લાયક ધરપકડ કરી શકાય નહીં.પરંતુ તેને એસ.સી./એસ.ટી.સમજીને હુમલો કરાયો હોય તો જ એસ્ટ્રોસિટી એક્ટ લાગુ પાડી શકાય.જે તેની જ્ઞાતિને હડધૂત કરવા સમાન ગણાય.
ઉપરોક્ત બાબતને ધ્યાને લઇ જસ્ટિસ શ્રી મહિન્દ્ર મોહન શ્રીવાસ્તવે સુપ્રીમ કોર્ટનો ખુમાનસિંહ વિરુદ્ધ મધ્ય પ્રદેશ સ્ટેટનો ચુકાદો ટાંક્યો હતો.
હાઇકોર્ટ સમક્ષ આવેલા કેસમાં ફરિયાદી અને આરોપીએ આપેલી કબૂલાત મુજબ તેઓ બંને વચ્ચે પહેલેથી જ સબંધ છે.તેથી મહિલાને એસ.સી./એસ.ટી સમજીને હુમલો કરાયો નથી પરંતુ વ્યક્તિગત કારણથી હુમલો કરાયો છે.જે અંગે મહિલા પણ સંમત થઇ હતી.આથી નામદાર કોર્ટએ આરોપીના આગોતરા જામીન મંજુર કર્યા હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.