પશ્ચિમ બંગાળ : યોગી આદિત્યનાથના હેલીકોપ્ટરને ઉતરાણની પરવાનગી આપવામાં ન આવતા તેમણે ફોન પર રેલીઓને સંબોધિત કરી
કોલકતા : પશ્ચિમ બંગાળના સ્થાનિક વહીવટી તંત્રે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હેલીકોપ્ટરને ઉતરાણ કરવાની પરવાનગી ન આપતા તેમણે રવિવારે વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા બંગાળમાં બે સભાઓ સંબોધી હતી. પ્રથમ સભા તેમણે બપોરે ૨:૧૫ વાગ્યે દક્ષિણ દિનાજપુર જિલ્લામાં આવેલા બાલુરઘાટ ખાતે સંબોધી હતી. જયારે બીજી સભા બપોરે ૩:૩૦ વાગ્યે ઉત્તર દિનાજપુરના રાયગંજ ખાતે સંબોધી હતી. બાલુરઘાટમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હેલીકોપ્ટરને ઉતરાણની પરવાનગી આપવામાં ન આવતા ભાજપના કાર્યકરોએ જિલ્લા મેજીસ્ટ્રેટના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કર્યુ હતું. યોગી આદિત્યનાથે રાજય સરકાર પર સત્તાના દુરૂપયોગનો આક્ષેપ કરતા કહ્યું હતું કે, વહીવટી તંત્ર પશ્ચિમ બંગાળના શાસક પક્ષ તૃણમુલ કોંગ્રેસના કાર્યકર તરીકે કામ કરી રહ્યો છે.