પી,ચિદમ્બરમ નવી મુશ્કેલીમાં ફસાયા: આઇએનએક્સ મીડિયા કેસ ચલાવવા કાનૂન મંત્રાલયે આપી મંજૂરી
નવી દિલ્હી :પૂર્વ નાણાંમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા પી.ચિદમ્બરમ નવી મુશ્કેલીમાં ફસાયા છે. આઈએનએક્સ મીડિયા કેસમાં કાનૂન મંત્રાલયે તેમનાં વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી દિધી છે.
આ કેસમાં પી.ચિદમ્બરમનાં પુત્ર કાર્તિ ચિદમ્બરમ પણ આરોપી છે. કેન્દ્રિય અન્વેષણ બ્યૂરો (CBI)એ કાનૂન મંત્રાલયને પત્ર લખીને કેસ ચલાવવા માટે મંજૂરી માંગી હતી. કાનૂન મંત્રાલયે હવે મંજૂરી આપી છે. 25 જાન્યુઆરીએ સીબીઆઈ અને ઇડીનાં અધિકારીઓએ દિલ્હી હાઈકોર્ટને કહ્યું હતું કે આઈએનએક્સ મીડિયા કેસમાં ચિદમ્બરમને કસ્ટડીમાં લઈને પુછપરછ કરવી છે.
આ તરફ કેન્દ્ર સરકારે એયરસેલ મેક્સિસ કેસમાં પી.ચિદમ્બરમ વિરુદ્ધ પહેલાથી જ કેસ ચલાવવાની મંજૂરી આપી દિધી છે. જો કે કાનૂન મંત્રાલયે આપેલી મંજૂરી બાદ કોંગ્રેસ નેતાની મુશ્કેલી વધશે તે નક્કી છે.