તીન તલાક વિરૂધ્ધનું બિલ રાજ્યસભામાં અટકી જશે?
કોંગ્રેસે ખરડાને સિલેકટ કમિટિને મોકલવાની માગણી કરતાં કહ્યું કે, આ બિલથી લાભ મુસ્લિમ મહિલાઓને નહીં સરકારને થવાનો છે
નવી દિલ્હી તા. ૪ : ગઈ કાલે રાજયસભામાં તીન તલાકવિરોધી બિલના મુદ્દે ભારે હંગામો થયો હતો અને એને લીધે રાજયસભાને આજ સવાર સુધી મુલતવી રાખવામાં આવી હતી. લોકસભામાં આ બિલ પસાર થયું ત્યાર બાદ એને રાજયસભામાં રજૂ કરવામાં આવ્યું છે. વિપક્ષે આ બિલને સંસદની સિલેકટ કમિટીને મોકલવાની માગણી કરી હતી અને સરકાર એ માટે તૈયાર નહોતી. આ મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ઘ ફાટી નીકળ્યું હતું અને છેવટે રાજયસભાને આજ સવાર સુધી મુલતવી રાખવામાં આવી હતી.
ગઈ કાલે કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે તીન તલાકવિરોધી બિલ ગૃહમાં રજૂ કરતાં કહ્યું હતું કે લોકસભામાં બિલ પાસ થઈ ગયા બાદ પણ તીન તલાકના કિસ્સા સામે આવી રહ્યા છે. કોન્ગ્રેસના આનંદ શર્માએ બિલને સિલેકટ કમિટીને મોકલવા વિશે નોટિસ આપી હતી. બીજા અમુક પક્ષોએ પણ એને સમર્થન આપ્યું હતું. સરકાર એ સાથે સહમત થઈ નહોતી અને નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે 'બિલને સિલેકટ કમિટીમાં મોકલવાનો પ્રસ્તાવ અચાનક જે રીતે સામે આવ્યો છે એનાથી આશ્ચર્ય થાય છે. આવો પ્રસ્તાવ ૨૪ કલાક પહેલાં આપવામાં આવે છે અને કોન્ગ્રેસ આ પરંપરાને તોડી રહી છે.'
કોન્ગ્રેસે સત્તાધારી પક્ષના તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા. આ બિલના મુદ્દે કોઈ સમાધાન નજરમાં ન આવતાં કાર્યવાહીને આજ સવાર સુધી મુલતવી રાખવામાં આવી હતી. ગૃહની બહાર કાયદાપ્રધાને કહ્યું હતું કે કોન્ગ્રેસ આ બિલના મુદ્દે બેવડા માપદંડ અજમાવી રહી છે અને દેશ એને જોઈ રહ્યું છે.