નારાજ સોલંકીને વિજય રૂપાણીએ આશ્વસાન આપી મનાવી લીધા
હવે મંત્રીમંડળનું વિસ્તરણ થાય ત્યારે તેમની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવશે : સીએમે આ ખાતરી આપતા સોલંકી માની પણ ગયા છે
નવી દિલ્હી તા.૪ : નારાજ પરષોત્ત્।મ સોલંકીને ભાજપે મનાવી લીધા હોય તેવું લાગી રહ્યું છે. મંત્રી બન્યા બાદ ઓફિસે ભાગ્યે જ આવતા સોલંકીએ ગઈ કાલે જ પોતાના નિવાસસ્થાને સમર્થકો સાથે આખો દિવસ મિટિંગો કરી હતી. તેમણે તાજેતરમાં જ ખુલ્લેઆમ પોતાને અપાયેલી જવાબદારી સામે નારાજગી વ્યકત કરી હતી.
પરષોત્ત્।મ સોલંકીએ સીએમ સાથે પોતાની નારાજગીને લઈને બે વાર મિટિંગ પણ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રુપાણીએ સોલંકીને આશ્વાસન આપ્યું છે કે હવે મંત્રીમંડળનું વિસ્તરણ થાય ત્યારે તેમની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવશે. સીએમે આ ખાતરી આપતા સોલંકી માની પણ ગયા છે, અને તેમણે ઓફિસે આવવાનું શરુ કરી દીધું છે.
મહત્વનું છે કે, સોલંકીએ પોતાની નારાજગીના મામલે સીએમ સાથે બે મિટિંગ કરી હતી. સીએમ દ્વારા વરિષ્ઠ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને પણ સોલંકીને મનાવવા માટે તાત્કાલિક તેમની ઓફિસે મોકલવામાં આવ્યા હતા. એક તરફ ચૂડાસમા દાવો કરતા હતા કે સોલંકી નારાજ નથી, ત્યારે બીજી તરફ સોલંકી કહેતા હતા કે, કોળી સમાજ તેમને એક માત્ર વિભાગ અપાતા નારાજ છે અને તેમને સવાલો કરી રહ્યો છે.
પાંચ વાર ધારાસભ્ય તરીકે ચૂંટાવા છતાં પોતાને મત્સ્ય વિભાગના રાજયકક્ષાના મંત્રી બનાવવા પર સોલંકીએ કહ્યું હતું કે, તેમનો કોળી સમાજ પણ તેનાથી નારાજ છે. સોલંકીએ એવી ચિમકી પણ ઉચ્ચારી હતી કે જો કોળી સમાજની માગ ન સંતોષાઈ તો ૨૦૧૯માં આવનારી લોકસભા ચૂંટણીમાં કોને મત આપવો તે કોળીઓને વિચારવું પડશે.
એક માત્ર વિભાગ આપતા નારાજ પરષોત્ત્।મ સોલંકીએ ઓફિસે આવવાનું બંધ કરી દીધું હતું. તેમણે જણાવ્યું હતું કે તેમને એટલું ઓછું કામ આપવામાં આવ્યું છે કે, ઓફિસમાં ટાઈમ પાસ પણ નથી થતો, અને તેમને કોઈ ફાઈલો પણ નથી પહોંચાડવામાં આવતી. એટલું જ નહીં, સીએમ પાસે ૧૨-૧૨ ખાતાં હોય તો તેમાંથી તેમને કેટલાક ખાતાં આપવામાં શું વાંધો છે તેવું પણ સોલંકીએ કહ્યું હતું.