મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

પરસોતમ સોલંકી કેબીનેટમાં ન ગયાઃ સારા ખાતા માટે મોરચો

ગાંધીનગર બંગલે કોળી સમાજના અગ્રણીઓનો મેળાવડોઃ અન્યાય દૂર ન થાય તો શકિત પ્રદર્શનઃ નિર્ણય સમાજ પર છોડયો

ગાંધીનગર તા. ૩ :.. રાજય કક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી પરસોતમ સોલંકીએ પોતાને મળેલ ખાતા સામે અસંતોષ વ્યકત કરી ખૂલ્લો મોરચો માંડયો છે. તેમણે આજે કેબીનેટ બેઠકમાં જવાનું ટાળી તે જ સમયે પોતાના બંગલે કોળી સમાજના અગ્રણીઓની બેઠક બોલાવેલ. જેમાં મહત્વપૂર્ણ ખાતુ ન મળે તો લડાઇ આદરવા અંગે ચર્ચા થયેલ. તેમણે  સમાજ કહે તો તુરત મંત્રી પદેથી રાજીનામું આપવાની તૈયારી દર્શાવી છે.

આજે સવારથી ગાંધીનગર ખાતે શ્રી સોલંકીના બંગલે ૧પ૦ થી  વધુ કોળી અગ્રણીઓની બેઠક મળેલ. તેમને દર વખતે રાજય કક્ષાના મંત્રીપદે સમાવી માત્ર મત્સ્યોદ્યોગ ખાતુ આપવાની ભાજપ સરકારની નીતિ સામે તિવ્ર કચવાટ વ્યકત કરવામાં આવેલ. તેમણે આ બાબતે મુખ્યમંત્રીનું ધ્યાન દોરી સમાજ કક્ષાએથી લડત ચલાવવાનો નિર્દેષ કર્યો છે.

શ્રી નીતિન પટેલ બાદ  હવે શ્રી પરસોતમ સોલંકીએ પોતાને મળેલ ખાતા અને  મંત્રીપદની રેન્ક સામે અસંતોષ બતાવ્યો છે. તેમણે ખૂલ્લો બળવો કર્યો નથી પરંતુ આજે કેબીનેટમાં ન ગયા તે બાબતને રાજકીય વર્તુળો અઘોષિત બહિષ્કાર સાથે સરખાવી રહ્યા છે. ખાતા ફાળવણીમાં થયેલ અસંતોષ દૂર ન થાય તો ભવિષ્યમાં વધુ શકિત પ્રદર્શન કરવાની તૈયારી હોવાનું જાણવા  મળે છે. બીજી તરફ સરકારે શ્રી સોલંકીની નારાજગીની અસર કોળી સમાજ પર ન આવે તે માટે ડેમેજ કંટ્રોલના પ્રયાસો શરૂ કર્યા છે.

(3:32 pm IST)