મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

ત્રિપલ તલાક અંગે બિલને લઇને રાજ્યસભામાં જોરદાર હોબાળો

રાજ્યસભામાં કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષે અડચણો ઉભી કરી : કોંગ્રેસ સહિત અનેક વિરોધ પક્ષો બિલને સિલેક્ટ કમિટિમાં મોકલવાને લઇ જિદ્દી વલણ પર ઉતર્યા : મોદી સરકાર વિપક્ષની માંગ સ્વીકારવા તૈયાર નથી

નવી દિલ્હી,તા. ૩ : ત્રિપલ તલાક બિલને લઇને રાજ્યસભામાં આજે ભારે ધાંધલધમાલ થઇ હતી. લોકસભામાં બિલને પસાર કરવામાં સફળ રહેલી મોદી સરકાર માટે રાજ્યસભામાં કોંગ્રેસ પાર્ટીએ અડચણો ઉભી કરી દીધી છે. કોંગ્રેસ સહિત વિપક્ષ આ બિલને સિલેક્ટ કમિટિમાં મોકલવાની માંગ ઉપર અડી ગયા છે. સરકાર વિપક્ષની આ માંગ ઉપર તૈયાર નથી. ભારે ધાંધલ ધમાલની સ્થિતિ વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી આજે દિવસ દરમિયાન મોકૂફ કરી દેવામાં આવી હતી. આજે કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલ રજૂ કર્યું હતું અને ચર્ચા શરૂ કરી હતી. પ્રસાદે કહ્યું હતું કે, લોકસભામાં આ બિલ પાસ થયા બાદ દેશમાં ત્રિપલ તલાકના મામલા સપાટી ઉપર આવી રહ્યા છે. કોંગ્રેસના સાંસદ આનંદ શર્માએ ધાંધલ ધમાલ વચ્ચે બિલને સિલેક્ટ કમિટિમાં મોકલવા માટે નોટિસ રજૂ કરી હતી. સિલેક્ટ કમિટિના સભ્યોના નામ પણ સુચવ્યા હતા. કોંગ્રેસ ઉપરાંત, સમાજવાદી પાર્ટી, સીપીઆઈ, ડીએમકે, એનસીપી અને અન્ય વિરોધ પક્ષોએ બિલને સિલેક્ટ કમિટિમાં મોકલવાની રજૂઆત કરી હતી. જો કે, સરકારે વિપક્ષની આ માંગને ફગાવી દીધી હતી. નાણામંત્રી જેટલીએ કહ્યું હતું કે, જે રીતે એકાએક બિલને સિલેક્ટ કમિટિમાં મોકલવાની રજૂઆત થઇ છે તેનાથી ગૃહને આશ્ચર્ય થયું છે. આ પ્રકારના પ્રસ્તાવ ૨૪ કલાક પહેલા આપવામાં આવે છે. જેટલીએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે ત્રિપલ તલાકને ગેરબંધારણીય જાહેર કરીને છ મહિના માટે તેને મોકૂફ કરી દીધો છે. સસ્પેન્શનની અવધિ ૨૨મી ફેબ્રુઆરીના દિવસે પુરી થઇ રહી છે. આ બિલને સિલેક્ટ કમિટિમાં મોકલી શકાય નહીં. કારણ કે દેશને સંસદથી આશા છે કે, વહેલીતકે આના પર કાયદો બની જાય. કપિલ સિબ્બલે અરુણ જેટલી ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના જે ચુકાદાની તેઓ વાત કરી રહ્યા છે. ત્યાં પણ મુસ્લિમ પર્સનલ લો બોર્ડના વકીલ ઉપસ્થિત હતા.

આવતીકાલે હવે ફરી આના પર મામલો આગળ વધે તેવી શક્યતા છે. રાજ્યસભામાં બહુમતિ ન હોવાના  કારણે સરકાર હવે વિપક્ષને મનાવવા માટેના પ્રયાસમાં લાગેલી છે. બિલમાં કેટલીક ગંભીરત જોગવાઇ કરવામાં આવી છે. સર્વસંમતિના પ્રયાસમાં સફળતા મળે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે કારણકે રાજ્યસભામાં આ બિલ રજૂ કરવામાં આવશે ત્યારે કોંગ્રેસ પાર્ટી તરફથી અપરાધને જામીનપાત્ર બનાવવા માટેની માંગ કરવામાં આવે તેવી શક્યતા છે. મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે ત્રિપલ તલાકના મુદ્દે સરકારનુ સમર્થન તો કર્યુ છે પરંતુ તે કેટલીક અન્ય રજૂઆત કરવા માટે ઇચ્છુક છે. કોંગ્રેસે કેટલીક ખામી પણ ગણાવી છે. કોંગ્રેસ ઇચ્છે છે કે બિલમાં એક વખત ત્રણ વખત તલાક કહેનારને અપરાધ ગણાવનાર ક્લોઝને દુર કરી દેવામાં આવે. સાથે સાથે અપરાધને જામીનપાત્ર બનાવવામાં આવે તેવી માંગ પણ કરે તેવી શક્યતા છે. તમામ લોકો જાણે છે કે લોકસભામાં પાસ કરવામાં આવેલા બિલમાં એક વખતમાં ત્રણ વખત તલાક કહેનારને ગેરકાયદે ગણાવવાની વાત થઇ છે. સાથે સાથે તેને દંનીય અપરાધની શ્રેણીમાં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમાં ત્રણ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઇ પણ કરવામાં આવી છે.

(7:40 pm IST)