મોંઘવારીના મોરચે ભારતે ડંકા વગાડયા વિકસિત દેશો કરતા સૌથી ઓછી વધી
SBIનો રિપોર્ટ : ભારતમાં ઉચ્ચત્તમ મેનેજમેન્ટથી મોંઘવારી કાબુમાં
નવી દિલ્હી તા. ૩ : આર્થિક મંદીની આશંકા વચ્ચે વિશ્વભરની સેન્ટ્રલ બેંકો વધતી જતી ફુગાવાને અંકુશમાં લેવા માટે આક્રમક રીતે વ્યાજ દરોમાં વધારો કરી રહી છે. ભારતે પણ પોલિસી રેટમાં વધારો કર્યો છે. પરંતુ, ફુગાવાના સંચાલનના મોરચે, ભારતે યુએસ, યુકે અને જર્મની જેવા વિકસિત દેશો કરતાં વધુ સારૂં પ્રદર્શન કર્યું છે. સપ્ટેમ્બર, ૨૦૨૧ની તુલનામાં, એવું જાણવા મળ્યું છે કે આ દેશોની તુલનામાં, ભારતમાં ફુગાવો સૌથી ઓછો વધ્યો છે.
SBIએ ECORAP રિપોર્ટમાં કહ્યું છે કે વૈશ્વિક અનિશ્ચિતતાના આ યુગમાં ભારત આશાના કિરણની જેમ દેખાઈ રહ્યું છે. તેણે ખાદ્યપદાર્થોની કિંમતો, જીવનનિર્વાહ અને ઊર્જાના ખર્ચમાં યુએસ, યુકે અને જર્મની જેવા વિકસિત દેશોને પાછળ છોડી દીધા છે. વિવિધ દેશોમાં કિંમતની સરખામણી તેમના ચલણને બદલે રૂપિયામાં રૂપાંતરિત કરીને કરવામાં આવી છે. એસબીઆઈના ચીફ ઈકોનોમિસ્ટ સૌમ્ય કાંતિ ઘોષે જણાવ્યું હતું કે યુક્રેન સંઘર્ષની શરૂઆતથી, અદ્યતન અને ઉભરતી અર્થવ્યવસ્થા બંનેમાં વિવિધ મોરચે ભાવમાં તીવ્ર વધારો થયો છે. અનિશ્ચિતતાના વમળમાં ફસાયેલી અર્થવ્યવસ્થા બરબાદ થઈ રહી છે. પરંતુ, નક્કર સંચાલન પાછળ ભારત સારું પ્રદર્શન કરી રહ્યું છે.
પોતાના અહેવાલમાં ઘોષે વર્તમાન વૈશ્વિક આર્થિક સ્થિતિની તુલના પ્રખ્યાત સંગીત નાટક ‘વિકેડ' સાથે કરી હતી. નાટકનું પ્રખ્યાત પાત્ર ગ્લિન્ડા ગર્વથી જાહેર કરે છે કે તેના નામનો ‘જી' અક્ષર શાંત છે. તેવી જ રીતે, એવું લાગે છે કે આ ક્ષણે વૈશ્વિક અર્થતંત્રમાંથી ‘સારા' શબ્દ અસ્થાયી રૂપે અદૃશ્ય થઈ ગયો છે.
IMFના વડા ક્રિસ્ટાલિના જયોર્જિવાએ જણાવ્યું હતું કે મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં મંદીને કારણે એશિયન દેશોમાં ફુગાવાનું દબાણ સતત વધી રહ્યું છે. આ કારણે વૈશ્વિક વિકાસ દરમાં બે ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. છેલ્લી વખત આ પ્રકારનું દબાણ ૨૦૦૯ની વૈશ્વિક નાણાકીય કટોકટી અને કોરોના રોગચાળા દરમિયાન જોવા મળ્યું હતું.