મુખ્ય સમાચાર
News of Thursday, 3rd December 2020

મસ્જિદોમાં લાઉડ સ્પીકરો પર પ્રતિબંધની સેનાની માગ

અક્સના મુખપત્રએ વિવાદ છેડ્યો : લાઉડ સ્પીકરોના કારણે દેશમાં પર્યાવરણ સંરક્ષણ અને ધ્વનિ પ્રદૂષણ સંબંધિત મુશ્કેલીઓ વધી રહી હોવાનો દાવો

મુંબઈ,તા.૩ : શિવસેનાએ દેશમાં મસ્જિદોમાં લાઉડ સ્પીકરો પર પ્રતિબંધ લગાવવા કેન્દ્ર સરકાર પાસે વટહુકમ લાવવાની માગણી કરી છે. શિવસેનાએ મુખપત્ર સામનામાં છપાયેલા લેખમાં કહ્યું છે કે ધ્વનિ પ્રદૂષણના નિયમો બધા માટે જરૂરી છે. આથી સરકારે વટહુકમ લાવીને મસ્જિદોમાં વાગતા લાઉડ સ્પીકરો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. સામનામાં છપાયેલા લેખમાં કહેવાયું છે કે દેશમાં ધ્વનિ પ્રદૂષણના મામલા સતત વધી રહ્યા છે. મસ્જિદોમાં લાગેલા લાઉડ સ્પીકર તેનું મોટું કારણ છે. આ લાઉડ સ્પીકરોના કારણે દેશમાં પર્યાવરણ સંરક્ષણ અને ધ્વનિ પ્રદૂષણ સંબંધિત મુશ્કેલીઓ વધી રહી છે.

               આ સમસ્યાના નિદાન માટે સરકારે કેન્દ્રમાં વટહુકમ લાવવો જોઈએ. અત્રે જણાવવાનું કે આ અગાઉ શિવસેનાના દક્ષિણ મુંબઈ શાખાના પ્રમુખ પાંડુરંગ સકપાલે એક ઉર્દૂ ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેઓ દક્ષિણ મુંબઈમાં એક મુસ્લિમ કબ્રસ્તાન પાસે રહે છે અને તેમને અજાનના પાઠ ખુબ સારા લાગે છે અને તે તેને સાંભળવાનું પસંદ કરે છે. આ નિવેદન બાદ ભાજપે શિવસેના પર નિશાન સાધ્યું હતું. ત્યારબાદ શિવસેનાએ હવે ડેમેજ કંટ્રોલ શરૂ કરતા મંદિરોમાંથી લાઉડ સ્પીકરો હટાવવાની માગણી કરી છે. મહારાષ્ટ્રમાં હવે કોઈ પણ કોલોની કે વિસ્તારનું નામ અને ઓળખ કોઈ જાતિના નામથી નહીં રહે. એવી તમામ રહેણાંક કોલોનીઓના નામ બદલવામાં આવશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મહારાષ્ટ્ર કેબિનેટે બુધવારે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી. જાતિગત નામ બદલવાનો નિર્ણય ઝૂંપડપટ્ટીઓ અને અનેક  ગામો પર લાગુ થશે. મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયનો હેતુ જાતિગત ભેદભાવને દૂર કરવાનો છે. આ પ્રસ્તાવ મહાષ્ટ્ર સરકારના સામાજિક ન્યાય વિભાગે રજૂ કર્યો હતો.

(7:05 pm IST)