આંતરિક રાજકારણ છોડી મહિલાઓની સુરક્ષા માટે કામ કરીએ
કેજરીવાલે ગૃહમંત્રી શાહની માંગી મદદ
નવી દિલ્હી,તા.૩:મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પાસે મહિલાઓ માટે રાષ્ટ્રીય રાજધાની સલામત બનાવવા મદદ માંગી છે. ન્યાયતંત્ર વિશે કેજરીવાલે કહ્યું કે દુષ્કર્મના દ્યણા કેસો પેન્ડિંગ છે અને આવા કેસોમાં ઝડપથી નિર્ણય લેવાની માંગ કરી છે. તેમણે દુષ્કર્મના આરોપીને છ મહિનાની અંદર ફાંસીની સજાની માંગ કરી હતી.
મહિલા સલામતીના મુદ્દે દિલ્હી વિધાનસભામાં ચર્ચા દરમિયાન કેજરીવાલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને કહ્યું હતું કે, મહિલાઓ વિરુદ્ઘના ગુનાઓ વિશે વિદ્યાર્થીઓને સંવેદના આપવા માટે શાળાઓમાં અભ્યાસક્રમો શરૂ કરવાની જરૂર છે. કેજરીવાલે અમિત શાહને કહ્યું તમારા સહયોગની જરૂર છે
કેજરીવાલે કહ્યું કે, અમને તમારા (શાહ) સહયોગ અને સહાયની જરૂર છે. આપણે એકઠા થઈને દિલ્હીને સુરક્ષિત સ્થાન બનાવવું જોઈએ. મુખ્યમંત્રીએ કહ્યું કે મહિલાઓ વિરુદ્ઘના ગુનાઓ વધી ગયા છે. તેમણે કહ્યું કે આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ. પછી ભલે તે દિલ્હી સરકાર હોય, કેન્દ્ર સરકાર અને ન્યાયતંત્ર, દરેકે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે અમે અમારા તરફથી, આપ સરકાર રાષ્ટ્રીય રાજધાનીમાં મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે દરેક પગલા લઈ રહી છે.