રેલવે અંગેના કેગનાં રિપોર્ટનો હવાલો ટાંકીને પ્રિયંકા ગાંધીનાં પ્રહાર: હવે રેલવેને વેચી દેશે મોદી સરકાર
ભારતીય રેલ દેશની લાઈફ લાઈન, હવે ભાજપ સરકારે રેલની હાલત પણ ખરાબ કરી
નવી દિલ્હી : ભારતીય રેલવેની કથળેલી આર્થિક સ્થિતિ અંગે કેગ રિપોર્ટનો હવાલો આપતાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકાએ ટ્વીટ કરી મોદી સરકાર પર પ્રહારો કરતા લખ્યું કે થોડા દિવસ બાદ સરકારી ઉપક્રમોની જેમ ભાજપની સરકાર રેલવેને પણ વેચવાનું શરૂ કરી દેશે.
પ્રિયંકા ગાંધીએ પોતાના ટ્વીટની સાથે કેગ રિપોર્ટ અંગેનો અહેવાલ પણ ટ્વીટ કર્યો છે. પ્રિયંકાએ વધુમાં લખ્યું કે ભારતીય રેલ દેશની લાઈફ લાઈન, હવે ભાજપ સરકારે ભારતીય રેલની હાલત પણ ખરાબ કરી દીધી છે. કોંગ્રેસના મહાસચિવ આ પહેલાં પણ ટ્વિટરથી કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં આવ્યા છે.
રેલવે પર રિપોર્ટ આવ્યો તે પહેલાં કોંગ્રેસના નેતાએ મોદી સરકારને ફોન કોલના વધતા ભાવ અંગે પણ ઘેર્યા હતા અને અમીર મિત્રોને ફાયદો પહોંચાડવા માટે સરકાર જનતાનું ખિસ્સું કાપે છે તેમ લખ્યું છે. કેગના રિપોર્ટમાં દાવો કરાયો છે કે ભારતીય રેલવેની કમાણી છેલ્લાં દસ વર્ષમાં સૌથી ઓછી થઈ છે.