મુખ્ય સમાચાર
News of Saturday, 3rd November 2018

સબરીમાલા મંદિરના કપાટ પાંચ નવેમ્બરે ફરીથી ખુલશે

હિંસાને રોકવા કલમ ૧૪૪ લાગુ કરી દેવાઈ : આસપાસના વિસ્તારોમાં પાંચ હજારથી પણ વધુ જવાનો તૈનાત કરાયા : સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવવા નિર્ણય

તિરૂવનંથપુરમ,તા. ૩ : કેરળના સબરીમાલા મંદિર વિવાદ હજુ શાંત નહીં થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. પાંચમી નવેમ્બરથી મંદિરના કપાટ અથવા તો પ્રવેશદ્વાર ખાસ પૂજા માટે ફરી ખુલનાર છે. આને ધ્યાનમાં લઈને કેરળના અનેક વિસ્તારોમાં ત્રણ દિવસ માટે કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. મંદિરના કપાટ ખુલવાની સ્થિતિમાં ફરી સંઘર્ષની સ્થિતિ ઉભી થઈ શકે છે. આવી સ્થિતિમાં આનાથી બચવા માટે સગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દેવાનો નિર્ણય કરાયો છે. કલમ ૧૪૪ લાગુ કરીને પાંચ હજારથી વધુ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. સુપ્રિમ કોર્ટના આદેશ છતાં ગયા મહિનામાં મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવાની તક મળી ન હતી. હજોરની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ વાંધો ઉઠાવ્યો હતો અને મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરવાથી અટકાવી દીધી હતી. સુપ્રિમ કોર્ટના આદેશની સામે ગયા મહિનામાં ખૂબ હિંસક પ્રદર્શન થયા હતા. આને ધ્યાનમાં લઈને વહીવટી તંત્ર તરફથી ચોથીથી છઠ્ઠી નવેમ્બર દરમ્યાન જુદા જુદા વિસ્તારોમાં અને ખાસ કરીને સન્નીધનમ, પમ્બા, નિલાક્કર અને ઇલાવંકુલમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. નવેસરના આંકડા મુજબ ગયા મહિને મંદિર વિસ્તારમાં તથા બીજા સ્થળો પર ૧૬મીથી ૨૨મી ઓકટોબર અને સોમવાર સુધી અડચણો ઉભી કરનાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા વધીને ૩૫૦૫ સુધી પહોંચી ગઈ હતી. જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૫૨૯ લોકોની સામે કેસ દાખલ કરાયો હતો. મંદિર પાંચ નવેમ્બરના દિવસે ખુલશે અને ત્યારબાદ ૧૬મી નવેમ્બરના દિવસે આશરે બે મહિનામાં બે વાર્ષિક તિર્થયાત્રા માટે મંદિરને ખોલી દેવામાં આવશે. સરકાર એકબાજુ કોર્ટના ચુકાદાને કોઈપણ કિંમતે લાગુ કરવાની વાત કરી રહી છે. બીજી બાજુ ભાજપ અને અન્ય પક્ષોના લોકો નિર્ણયની સામે રસ્તા પર આવી ગયા છે અને સુપ્રિમ કોર્ટના નિર્ણયનો વિરોધ કરી રહેલા શ્રદ્ધાળુઓને ટેકો આપી રહ્યા છે. ભાજપે બીજા તબક્કામાં આંદોલન મંગળવારથી શરૂ કરી દીધું છે. ભાજપનું કહેવું છે કે આગામી રથયાત્રામાં પાર્ટીને બિશપ અને મૌલાનાનું પણ સમર્થન છે. ભાજપની એનડીએ સરકારે છ દિવસ માટે રથયાત્રા યોજવાની જાહેરાત કરી દીધી છે. મંદિરના કપાટમાં ભાજપ પ્રમુખ અમિત શાહ સામેલ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. સબરીમાલા મંદિરમાં જઈને પૂજા કરવાની બાબત તેમના વિવાદાસ્પદ નિર્ણય બાદ આવી છે. અમિત શાહ કુન્નુરમાં પાર્ટી ઓફિસનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા ત્યારે જ તેઓએ ડાબેરી સરકાર ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ સાથે જોડાયેલા સુપ્રિમ કોર્ટના નિર્ણયને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થાય છે. સુપ્રિમના ચુકાદા ઉપર અમિત શાહે પ્રશ્નો ઉઠાવ્યા હતા.

કપાટ ખુલવાની સાથે સાથે

        *  કેરળના સબરીમારા મંદિર પર વિવાદ હજુ અકબંધ

*  સબરીમાલા મંદિરના કપાટ પાંચમી નવેમ્બરે ફરી ખુલશે

*  આવતીકાલથી કલમ ૧૪૪ લાગુ કરવાનો નિર્ણય કરાયો

*  કોઈપણ અનિચ્છનિય બનાવ ન બને તે માટે મંદિરની આસપાસના વિસ્તારોમાં પાંચ હજાર જવાનો તૈનાત કરાયા

*   છેલ્લા મહિનામાં મંદિર વિસ્તારના આસપાસના વિસ્તારોમાં દેખાવો શરૂ થયા બાદથી હજુ સુધી ૩૫૦૫ શ્રદ્ધાળુઓની અટકાયત કરવામાં આવી ચુકી છે.

*   સુપ્રિમ કોર્ટના આદેશ છતાં હજુ સુધી કોઈ મહિલાને મંદિરમાં પ્રવેશ કરવાની મંજુરી મળી નથી

 

(8:13 pm IST)