જીએસટી ઓડિટ રિપોર્ટ માટે સીએ દ્વારા કરાતી લૂંટફાટ પર એસોસિયેશનની લગામ
સીએ એસોસિયેશન દ્વારા ઓડિટ રિપોર્ટ માટે ફીનું ધારાધોરણ નક્કી કરવામાં આવ્યું છે
મુંબઇ, તા.૩: ૨ કરોડથી વધુ ટર્નઓવર ધરાવનારાઓએ સીએ પાસે ઓડિટ કરાવ્યા બાદ જ વાર્ષિક રિટર્ન ભરવાનું હોય છે. જેથી કેટલાક સીએ દ્વારા વેપારીઓ પાસે આડેધડ ફીની વસૂલાત કરતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી હતી. તેને ધ્યાને રાખીને સીએ એસોસિયેશન દ્વારા ઓડિટ રિપોર્ટ માટે ફીનું ધારાધોરણ નક્કી કરવામાં આવ્યું છે.
ઇન્ટકમટેકસ બાદ જીએસટીના રિટર્ન ભરવા માટે કેટલાક સીએ દ્વારા વેપારીઓ પાસેથી આડેધડ રકમ વસૂલવામાં આવતી હોય છે. જયારે સીએ નહીં હોવા છતાં સીએની પ્રેકિટસ કરનારાઓ પણ મનફાવે તે પ્રમાણે ફીની વસૂલાત કરતા હોય છે. તેમાં ઇન્કમટેકસ રિટર્ન ફાઇલ કરવામાં તેમજ જીએસટી આવ્યા બાદ જીએસટી રિટર્ન ફાઇલ કરવાનો સમાવેશ થાય છે. આ માટેની વ્યાપક ફરિયાદ ઇન્ડિયન ચાર્ટર્ડ એકાઉન્ટ એસોસિયેશનને પણ મળી છે. આ ફરિયાદને કારણે રિટર્ન ફાઇલ કરવાથી માંડીને તમામ માટેના ભાવ નક્કી કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમાં પણ મેટ્રો શહેરો જેવા કે અમદાવાદ, દિલ્હી, મુંબઇ, કોલકાતા જેવા શહેરોમાં વેપારીનું ઓડિટ સાથેનું જીએસટી રિટર્ન ભરવા માટે ૪૦ હજારની ફી નક્કી કરી દેવામાં આવી છે. જયારે અન્ય શહેરોમાં સીએ ૨૦ હજાર જ ફી વસૂલી શકે તે માટેનું ધારાધોરણ નિર્ધારીત કરવામાં આવ્યું છે. આ અંગે સુરત સીએ એસોસિયેશનના ચેરમેન મિહિર ઠક્કરે જણાવ્યું હતંુ કે ઓછામાં ઓછી ફી નક્કી કરવામાં આવે છે તે પ્રમાણે ચાર્જ વસૂલવાનો રહે છે. તેમ છતાં વેપારીના ટર્નઓવર અને તેની ફર્મના આધારે ફી નક્કી કરવામાં આવતી હોય છે.(૨૩.૫)