મુખ્ય સમાચાર
News of Monday, 3rd September 2018

છ રાજ્યમાં હાલ WHOના ધારાધોરણ કરતા વધુ તબીબો

તમિળનાડુ, દિલ્હી, કર્ણાટકમાં સ્થિતિ સારી : ઝારખંડ, હરિયાણા સહિતના કેટલાક રાજ્યોમાં તબીબની અછત : તમિળનાડુમાં ૨૫૩ લોકો સામે એક ડોક્ટર છે

નવીદિલ્હી,તા. ૨ : તબીબોની અછતને લઇને વારંવાર સમાચાર આવતા રહે છે. આવી સ્થિતિમાં છ રાજ્યો ભારતમાં એવા રહ્યા છે જ્યાં ડબલ્યુએચઓના એક હજાર લોકોની સામે એક તબીબના ધારાધોરણ કરતા વધારે તબીબો રહેલા છે. જ્યાં તબીબોની અછત છે તેવા રાજ્યોમાં ઝારખંડ, હરિયાણા, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, બિહાર અને હિમાચલનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં આંકડા ઉપર વાત કરવામાં આવે તો ઝારખંડમાં ૮૧૮૦ લોકોની સામે એક તબીબ છે જ્યારે તમિળનાડુની વાત કરવામાં આવે તો અહીં ૨૫૩ લોકોની સામે એક તબીબ છે. એટલે કે તમિળનાડુ, દિલ્હી, કર્ણાટક, કેરળ, ગોવા અને પંજાબ જેવા રાજ્યમાં ડબલ્યુએચઓના ધારાધોરણ કરતા પણ વધારે તબીબો રહેલા છે. આ રાજ્યોમાં ડબલ્યુએચઓના એક ડોક્ટર પ્રતિ એક હજાર લોકોના ધારાધોરણ કરતા વધારે તબીબો છે. ગ્રામીણ વિસ્તારોમાં પુરતુ ધ્યાન હજુ આપવામાં આવી શક્યું નથી. ઉત્તરપ્રદેશમાં સૌથી નિરાશાજનક સ્થિતિ જોવા મળી શકે છે. બિહાર અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં પણ સ્થિતિ સારી નથી. તમિળનાડુમાં એક હજાર લોકોની સામે ડોક્ટરની ડેનસિટી ખુબ ઉપયોગી રહી છે. અહીં ૨૫૩ લોકો સામે એક તબીબની સ્થિતિ છે. નોર્વે અને સ્વિડન જેવા દેશોમાં આ પ્રકારની સ્થિતિ છે. દિલ્હીમાં ૩૩૪ લોકો સામે એક તબીબની વ્યવસ્થા છે જે અમેરિકા, બ્રિટન, કેનેડા અને જાપાન કરતા વધારે સારી સ્થિતિમાં છે. આ દેશોમાં રેંજ ૨.૩થી ૨.૮ની આસપાસ છે. કેરળ અને કર્ણાટકમાં ડેન્સિટી ૧.૫ છે. આંકડા ગણતરી કરવામાં આવ્યા બાદ જાણી શકાય છે કે, ભૌગોલિક વિસ્તારની અસર પણ આમા સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આંધ્રપ્રદેશની વાત કરવામાં આવે તો અહીં રેશિયો ૬૮૯ લોકો સામે એકનો રહ્યો છે પરંતુ આ આંકડો ગેરમાર્ગે દોરનાર છે. કારણ કે, મોટાભાગના તેલંગાણાના તબીબો આંધ્રપ્રદેશમાં નોંધાયેલા છે. આવી સ્થિતિમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણાની ગણતરી અયોગ્ય સાબિત થઇ શકે છે. ભારતમાં તબીબો મુખ્યરીતે શહેરી વિસ્તારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. કેટલાક રાજ્યો હવે ગ્રામીણ વિસ્તારો ઉપર પણ વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આનાથી સ્થિતિમાં સુધારો થયો છે. તમિળનાડુ અને કેરળ જેવા રાજ્યોએ એવી બાબતોને મહત્વ આપ્યું છે કે, તેમના ગ્રામીણ પબ્લિક હેલ્થકેર સિસ્ટમમાં કોઇપણ જગ્યાઓ રહેલી નથી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની કર્ણાટક શાખાના પૂર્વ પ્રમુખના કહેવા મુજબ કર્ણાટકમાં ૪૦ ટકા તબીબો બેંગ્લોરમાં છે. ગ્રામઈણ વિસ્તરોમાં હજુ અછત રહેલી છે.

તબીબોની સ્થિતિ.......

નવીદિલ્હી, તા. ૨ : દેશના કેટલાક રાજ્યોમાં ડબલ્યુએચઓના ધારાધોરણ કરતા વધુ તબીબો છે જ્યારે કેટલાક રાજ્યોમાં આના કરતા ઓછા તબીબો છે. પ્રતિ એક હજાર લોકોમાં ક્યાં કેટલા તબીબો છે તે નીચે મુજબ છે.

સારી સ્થિતિ ધરાવનાર રાજ્ય

રાજ્ય......................................... લોકો પ્રતિ ડોક્ટર

તમિળનાડુ..................................................... ૨૫૩

દિલ્હી............................................................ ૩૩૪

કર્ણાટક.......................................................... ૫૦૭

કેરળ............................................................. ૫૩૫

ગોવા............................................................ ૭૧૩

પંજાબ........................................................... ૭૮૯

ખરાબ સ્થિતિ ધરાવનાર રાજ્ય

ઝારખંડ....................................................... ૮૧૮૦

હરિયાણા..................................................... ૬૦૩૭

છત્તીસગઢ................................................... ૪૩૩૮

ઉત્તરપ્રદેશ................................................... ૩૭૬૭

બિહાર......................................................... ૩૨૦૭

હિમાચલ..................................................... ૩૧૨૪

(7:47 pm IST)