સુપ્રીમકોર્ટે શ્રીલંકાના પીએમ રાજપક્ષે અને તેના ભાઈ પર દેશ છોડવા પરનો પ્રતિબંધ 11 ઓગસ્ટ સુધી લંબાવ્યો
દેશને આર્થિક સંકટમાં ધકેલવા માટે આ બંને ભાઈઓ મોટાપાયા પર જવાબદાર માનવામાં આવે છે.
શ્રીલંકાની સુપ્રીમ કોર્ટે દેશના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે અને તેમના નાના ભાઈ અને ભૂતપૂર્વ નાણા પ્રધાન બાસિલ રાજપક્ષે પર દેશ છોડવા પરનો પ્રતિબંધ 11 ઓગસ્ટ સુધી લંબાવ્યો છે. દેશને આર્થિક સંકટમાં ધકેલવા માટે આ બંને ભાઈઓ મોટાપાયા પર જવાબદાર માનવામાં આવે છે. જેના કારણે કોર્ટે બંને ભાઈઓ પર દેશ છોડવા પર સ્ટેની મુદત 4 ઓગસ્ટ સુધી વધારી દીધી હતી. દેશના આર્થિક સંકટ માટે જે લોકો જવાબદાર છે તેમની વિદેશ યાત્રા પર પ્રતિબંધ મૂકવા માટે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે
આ કેસ એક જૂથ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ભૂતપૂર્વ સિલોન ચેમ્બર ઑફ કોમર્સના પ્રમુખ ચંદ્ર જયરત્ને, ભૂતપૂર્વ શ્રીલંકાના સ્વિમિંગ ચેમ્પિયન જુલિયન બોલિંગ અને જેહાન કનાગરત્ન અને ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલનો સમાવેશ થાય છે. અરજદારોનો દાવો છે કે બેસિલ, મહિન્દા અને પૂર્વ સેન્ટ્રલ બેંકના ગવર્નર અજીત નિવાર્ડ કેબ્રાલ શ્રીલંકાના વિદેશી દેવું, દેવાની ચૂકવણી અને વર્તમાન આર્થિક સંકટ માટે જવાબદાર છે, જેના કારણે ખોરાક અને દવાઓનો પણ પુરવઠો નથી મળતો. કોર્ટે પહેલા બંનેને 15 જુલાઈ, પછી 28 જુલાઈ અને પછી 2 ઓગસ્ટ સુધી દેશ છોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો, જેને વધુ એક વખત લંબાવવામાં આવ્યો છે.
આ મહિનાની શરૂઆતમાં મુસાફરો અને અધિકારીઓના વિરોધને પગલે બેસિલને કોલંબોના બંદરનાઈકે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દેશ છોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મહિન્દા અને બેસિલ પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના ભાઈઓ છે. રાજપક્ષે 14 જુલાઈના રોજ ખાનગી ફ્લાઈટમાં માલદીવ થઈને સિંગાપુર ભાગી ગયા હતા અને ત્યારબાદ ઈમેઈલ દ્વારા પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. શ્રીલંકા પર કુલ 51 અબજ ડોલરનું વિદેશી દેવું છે, જેને વર્તમાન સરકારે ચૂકવવું પડશે