અમે આરામ નથી કરી શકતા, આપણે વધુ કરવાની જરૂર છે, કેટલાક સુધારા કરવા પડશે, મોદી સરકાર તેને જ યોગ્ય માને છે જે તેની વાહવાહ કરે છે, બાકી બધુ ખોટુ છેઃ રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું નિવેદન
સરકારે વ્યાપક સલાહ વગર કેટલાક નિર્ણયો લેતા નારાજગી વધી અને વિરોધ થયો
નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કરેલા નિવેદનથી હલચલ મચી ગઇ છે.
રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યુ કે ભારતીય અર્થવ્યવસ્થા દુનિયાની બીજી અર્થવ્યવસ્થા કરતા વધારે મજબૂત છે પરંતુ રોજગારની તક ઉભી ના થતા આગામી 10 વર્ષમાં તકલીફ વધી શકે છે, જે દરથી મોંઘવારી વધી રહી છે તેનાથી સંકટ ઘેરાઇ રહ્યુ છે. રઘુરામ રાજને કહ્યુ- “અમે આરામ નથી કરી શકતા, આપણે વધુ કરવાની જરૂર છે, કેટલાક સુધાર કરવા પડશે. મોદી સરકાર તેને જ યોગ્ય માને છે, જે તેમની વાહવાહ કરે છે, બાકી બધુ ખોટુ છે.”
એક ઇન્ટરવ્યૂમાં રઘુરામ રાજને કહ્યુ કે વૈશ્વિક અર્થવ્યવસ્થા સંકટમાંથી પસાર થઇ રહી છે. કોવિડને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા ઘણી પ્રભાવિત થઇ છે. આપણે એક ગરીબ દેશ છીએ. ગત કેટલાક વર્ષમાં જે રીતે નોકરીની જરૂરત વધી છે, તેની માટે વિકાસ અપર્યાપ્ત રહ્યો છે. પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યુ કે આપણે લોકોની સ્કિલ વધારવા અને શિક્ષણના ક્ષેત્રમાં વધારો કરવો પડશે. આગામી 10 વર્ષમાં જે યુવા ગ્રેજ્યુએટ થઇને આવશે તેમણે સ્કિલ બેસ શિક્ષણ આપવુ પડશે ત્યારે જ નોકરી વધી શકશે.
રઘુરામ રાજને કહ્યુ લોકતંત્રમાં સંવાદ ઘણો જરૂરી છે. છેલ્લા કેટલાક વર્ષમાં સરકારે વ્યાપક સલાહ વગર કેટલાક નિર્ણય લીધા- જેમ કે ડીમોનેટાઇઝેશન, ત્રણ કૃષિ કાયદા વગેરે જેનાથી લોકોમાં નારાજગી વધી અને વિરોધ થયો. રઘુરામ રાજને કહ્યુ કે લોકતંત્રમાં આ ત્યારે કામ કરે છે જ્યારે તમે સંવાદ કરો છો. સંવાદ એક અંતહીન સિલસિલો છે જે ચાલતો રહેવો જોઇએ.
પાછલા મહિનાઓમાં ફુગાવો મુખ્ય મુદ્દાઓમાંનો એક રહ્યો છે, અને છેલ્લા બે દિવસમાં સંસદમાં ચર્ચામાં, સરકારે જાહેરાત કરી હતી કે તે કોવિડ અને યુક્રેન-રશિયા યુદ્ધ જેવા બાહ્ય પરિબળોને કારણે છે. પરંતુ તે એવું નથી.
તાજેતરમાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે અર્થવ્યવસ્થાના મુખ્ય માપદંડ તરીકે વૃદ્ધિને ટાંકીને કહ્યું હતું કે વર્તમાન રિટેલ ફુગાવો 7 ટકા છે અને તેની તુલના યૂપીએ શાસન દરમિયાન ચાર વર્ષ માટે 9 ટકાથી વધુ હતો તેની સરખામણી કરી હતી. સીતારમણે ભારતના આર્થિક પ્રદર્શન વિશે રઘુરામ રાજનની તાજેતરની ટિપ્પણીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.
રઘુરામ રાજને કહ્યુ કે ‘RBIએ ભારતમાં વિદેશી મુદ્રા ભંડાર વધારવા, ભારતને પાકિસ્તાન અને શ્રીલંકા જેવા પાડોશી દેશોની સમસ્યાથી બચાવવા માટે સારૂ કામ કર્યુ છે.’
જરૂરી સામાનોની વધતી કિંમત અને મોંઘવારીના મુદ્દા પર રાજ્યસભામાં થયેલી ચર્ચા દરમિયાન રાષ્ટ્રીય જનતા દળના સાંસદ મનોજ ઝાએ કહ્યુ કે ગરીબોની સ્થિતિમાં કોઇ સુધારો થયો નથી, તેમણે તેની પર ચિંતા વ્યક્ત કરતા સરકાર પર મોંઘવારી વધારવાનો આરોપ લગાવ્યો હતો.
સાંસદે દિલ્હીમાં રહેતા નૈનસુક લાલ નામના એક સુરક્ષાકર્મીનો હવાલો આપતા કહ્યુ કે તે 12 હજાર રૂપિયા મહિને કમાય છે અને તેમાંથી પત્ની અને બે બાળક સાથે જીવન વિતાવી રહ્યો છે. તે ચાર હજાર રૂપિયા ભાડુ, બે હજાર રૂપિયા બાળકોની ટ્યૂશન ફી, 1200 રૂપિયા ગેસ સિલિન્ડર અને ત્રણ હજાર રૂપિયા ભોજનમાં ખર્ચ કરે છે. 10,200 રૂપિયા ખર્ચ કર્યા બાદ તેની પાસે કઇ બચતુ નથી. સ્વાસ્થ્ય અને બીજા ખર્ચ માટે તે ભાગ્યે જ કઇ બચાવી શકતો હશે. સાંસદ મનોજ ઝાએ કહ્યુ કે નૈનસુક લાલ જેવા લોકો દરેક શહેરમાં છે. નોકરી નહી હોય, આવક ના વધતા યુવાઓમાં રોષ છે.