મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd August 2021

જીવતા જીવ પ્રેમલગ્નની ના આપી મંજૂરી : આત્મહત્યા પછી પરિવારે બંનેના કરાવ્યા લગ્ન

પરિવારે લગ્ન માટે ના પાડી તો પ્રેમી અને પ્રેમિકાએ આત્મહત્યા કરી લીધી

જલગાંવ/મુંબઈ,તા.૩: મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના વાડે ગામના રહેવાસી એક પ્રેમી યુગલની લગ્નની ઇચ્છા જીવતા હતા ત્યારે પૂરી થઇ શકી ન હતી. પરિવારે લગ્ન માટે ના પાડી તો પ્રેમી અને પ્રેમિકાએ આત્મહત્યા કરી લીધી હતી. તે મરી ગયા પછી પરિવારજનોએ સાંકેતિક રીતે તેમના લગ્ન કરાવ્યા હતા.

વાડે ગામના ૨૨ વર્ષીય મુકેશ સોનાવણે અને પલાડની રહેવાસી નેહા ઠાકરે વચ્ચે પ્રેમ હતો. બંને એકબીજાને દ્યણા પસંદ કરતા હતા. મુકેશ અને નેહા લગ્ન કરીને પોતાનું જીવન સાથે પસાર કરવા માંગતા હતા. તેમણે આ માટે પોતાના પરિવાર સાથે વાત કરી હતી. જોકે બંનેના પરિવારજનો આ લગ્ન માટે રાજી થયા ન હતા. બંને એક જ સમુદાયના હતા.

જયારે પરિવારજનોએ તેમના લગ્ન કરાવવાની ના પાડી તો બંનેએ આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો. નેહા અને તેમનો પરિવાર છેલ્લા કેટલાક મહિનાથી પોતાના સંબંધીના ગામ વાડેમાં રહેતો હતો. પોલીસનું કહેવું છે કે પ્રારંભિક તપાસમાં એ વાત સામે આવી છે કે બંને વચ્ચે પ્રેમ હતો. બંને લગ્ન કરવા માંગતા હતા. જોકે તેમના પરિવારે લગ્ન માટે ના પાડી હતી.

મુકેશે લગ્ન માટે નેહાના પરિવાર સાથે પણ વાત કરી હતી. જોકે તે માન્યા ન હતા. આ પછી મુકેશ અને નેહાએ ગામમાં એક દ્યરમાં સાથે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

આત્મહત્યા કરતા પહેલા વોટ્સએપ સ્ટેટસ પર એક બાય મેસેજ પણ લગાવ્યો હતો. જોકે બંને પાસેથી કોઇ સુસાઇડ નોટ મળી નથી.

પોસ્ટમોર્ટમ પછી બંનેની લાશ તેમના ગામ લઇ જવામાં આવી હતી. બંનેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગામના એક વ્યકિતએ કહ્યું હતું કે પરિવારજનોએ તેમની અંતિમ ઇચ્છા પૂરી કરવા માટે બંનેના સાંકેતિક લગ્ન કરાવ્યા હતા.

(10:35 am IST)