LAC પર તણાવવાળા સ્થળોએથી સૈનિકોને સંપૂર્ણ રીતે પાછળ હટાવો
ભારતની કડક શબ્દોમાં ચીનને ચેતવણી
નવી દિલ્હી તા. ૩ : પૂર્વ લદાખમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન રવિવારે બંને દેશોના ટોચના કમાન્ડરો વચ્ચે ૫મા તબક્કાની બેઠક યોજાઈ. સૈન્ય કમાન્ડર સ્તરની આ વાતચીત લગભગ ૧૧ કલાક ચાલી. બેઠકમાં ભારતે LAC પર ઘર્ષણવાળા તમામ સ્થળોએથી ચીનને પોતાના સૈનિકો પાછા ખેંચવાનું કહ્યું છે. તણાવ ઓછો કરવા માટે બંને દેશો વચ્ચે કૂટનીતિક અને સૈન્ય બંને સ્તર પર વાતચીત ચાલુ છે.
અધિકારીઓના જણાવ્યાં મુજબ આ બેઠક એલએસી પર ચીન બાજુના મોલદોમાં સવારે ૧૧ વાગે શરૂ થઈ અને રાતે ૧૦ વાગે પૂરી થઈ. બંને પક્ષ કૂટનીતિક અને સૈન્ય વાર્તાઓમાં લાગેલા છે. જો કે ભારતીય સેના પૂર્વ લદાખના તમામ પ્રમુખ ક્ષેત્રોમાં કડકડતી ઠંડીના મહિનાઓમાં સરહદ પર પોતાની હાલની તાકાત જાળવી રાકવા માટે પૂરતી તૈયારીઓ કરી રહી છે. તેમણે કહ્યું કે બેઠક દરમિયાન ભારતીય પક્ષે જેમ બને તેમ જલદી ચીની સૈનિકોને સંપૂર્ણ રીતે પાછળ હટાવવા પર ભાર મૂકયો અને પૂર્વ લદાખના તમામ ક્ષેત્રોમાં ૫મી ને પહેલાની સ્થિતિને તત્કાળ બહાલ કરવાની વાત કરી.
રવિવારે થયેલી આ બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ લેહ સ્થિત ૧૪ કોરના કમાન્ડર લેફટેનન્ટ જનરલ હરિન્દર સિંહે જયારે ચીની પક્ષનું નેતૃત્વ દક્ષિણી શિનજિયાંગ સૈન્ય ક્ષેત્રના કમાન્ડર મેજર જનરલ લિયુ લિને કર્યું હતું. આ અગાઉ કોર કમાન્ડર સ્તરની વાર્તા ૧૪ જુલાઈએ થઈ હતી. જે લગભગ ૧૫ કલાક ચાલી હતી. વાતચીતમાં ભારતીય પક્ષે ચીની સેનાને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે પૂર્વ લદાખમાં પહેલાની સ્થિતિ જળવાવવી જોઈએ અને તે વિસ્તારમાં શાંતિ બહાલ કરવા માટે સરહદ મેનેજમેન્ટ અંગે તે તમામ પ્રોટોકોલનું પાલન કરવું પડશે જેના પર પરસ્પર સહમતિ બની છે.